
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ટીમ દ્વારા કરાયેલા અધ્યન બાદ તાજેતરમાં પ્રકાશીત કરાયેલા અહેવાલમાં, યુએન સુરક્ષા પરિષદની દેખરેખ ટીમે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, નવેમ્બર 2025માં દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બોંબ વિસ્ફોટના હુમલા પાછળ અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) નો હાથ હતો. આ પહેલી વાર છે. જ્યારે યુએનના કોઈ સત્તાવાર દસ્તાવેજે આ હુમલાને સીધો જ આતંકી સંગઠન સાથે જોડ્યો છે. દરમિયાન, NIA ભારતમાં લાલ કિલ્લા પર થયેલા બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહી છે.
આ માહિતી 38મા અહેવાલમાં બહાર આવી છે, જે 16 ડિસેમ્બર, 2025 અને 9 જૂન, 2026 વચ્ચેની ઘટનાઓને આવરી લે છે, અને ઓગસ્ટ 2026માં સુરક્ષા પરિષદને સુપરત કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ, AQIS – અગાઉ એક નબળું અને ખંડિત સંગઠન હતું. હવે તે એક સંગઠિત પ્રાદેશિક બળ તરીકે ઉભરી રહ્યું છે. મોટા જૂથોમાં કાર્યરત થવાને બદલે, આ સંગઠન હવે સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા માટે નાના, છૂટાછવાયા સેલ દ્વારા કાર્ય કરે છે. અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ પોતાના સ્વતંત્ર લોજિસ્ટિક્સ અને ભંડોળ નેટવર્ક પણ સ્થાપિત કર્યા છે.
આ અહેવાલમાં એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે કે, AQIS બાંગ્લાદેશમાં પાયો સ્થાપિત કરવાનો પ્રયાસ કરી શકે છે, જેથી સંભવતઃ સમગ્ર દક્ષિણ એશિયામાં તેની પહોંચનો વિસ્તાર કરી શકે છે.
આ અહેવાલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પારના હુમલાઓમાં વધારો પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તાલિબાન પર પાકિસ્તાન વિરોધી જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ને ટેકો આપવાનો આરોપ છે. આ સમર્થનને કારણે પાકિસ્તાની સુરક્ષા દળો પર હુમલાઓ અને બંને રાષ્ટ્રો વચ્ચે લશ્કરી અથડામણોમાં વધારો થયો છે. આ રિપોર્ટમાં AQIS ને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રમાં ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન પાકિસ્તાન (IMP) દ્વારા કરવામાં આવેલા હુમલાઓ સાથે પણ જોડવામાં આવ્યું છે, જેમાં બન્નુમાં સુરક્ષા ચોકી પાસે આત્મઘાતી હુમલો પણ સામેલ છે.
રિપોર્ટમાં બીજો એક ચિંતાજનક ખુલાસો એ છે કે આતંકવાદી સંગઠનો હવે બોમ્બ બનાવવા અને લક્ષ્ય પસંદગી અંગે માહિતી મેળવવા માટે ChatGPT જેવા AI સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. દરમિયાન, ISIL-K તેની પ્રચાર સામગ્રીને વિવિધ ભાષાઓમાં ઝડપથી અનુવાદિત કરવા માટે AIનો ઉપયોગ કરી રહ્યું છે.
રિપોર્ટ મુજબ, ISILના અંગ્રેજી ભાષાના મેગેઝિન, Invade એ આ વર્ષે બોટ્યુલિનમ ટોક્સિન અને સાયનાઇડ જેવા ખતરનાક પદાર્થોના ઉત્પાદન અંગે સૂચનાઓ પ્રકાશિત કરી હતી, જે સંગઠનની જૈવિક અને રાસાયણિક શસ્ત્રોમાં સતત રુચિ દર્શાવે છે.
રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન, યુએનની આતંકવાદી સંગઠનોની પ્રતિબંધોની યાદીમાં ત્રણ નવા નામ ઉમેરવામાં આવ્યા હતા, જ્યારે સાતને દૂર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ, અલ-નુસરા ફ્રન્ટ – જેને હયાત તહરિર અલ-શામ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું નામ યાદીમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું હતું.