ભારતીય કિસાન યુનિયન (BKU) એ લખીમપુરમાં 3 ઓક્ટોબરે થયેલી હિંસામાં ઉત્તર પ્રદેશ પોલીસની નિષ્ક્રિયતા સામે વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. ભારતીય કિસાન યુનિયનએ જણાવ્યું કે તેઓ 26 ઓક્ટોબર, મંગળવારે વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરશે.
ખેડૂતોના ધરણા સવારે 11 વાગ્યે શરૂ થશે અને બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દરમિયાન, ખેડૂતો તેમના સંબંધિત વિસ્તારોમાં ઉપ-વિભાગીય મેજિસ્ટ્રેટ, ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપશે. લખીમપુર હિંસામાં (Lakhimpur Kheri Case) 4 ખેડૂતો સહિત 8 લોકો માર્યા ગયા હતા, ત્યારબાદ આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં SIT એ કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે. તેમ છતા ભારતીય કિસાન યુનિયન (BKU) એ મંગળવારે દેશભરમાં ‘હલ્લા બોલ’ની જાહેરાત કરી છે.
કયા મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન થશે
ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહએ કહ્યું કે, ખેડૂતો લખીમપુરની ઘટનામાં પોલીસની નિષ્ક્રિયતાનો વિરોધ કરશે, ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાની ધરપકડની માગ કરશે અને ખેડૂતોના આંદોલન દરમિયાન પોતાના પરિજનોને ગુમાવનારા પરિવારોને સમર્થન આપશે અને MSP અંગેના કાયદાની માગ કરશે. તેમણે કહ્યું કે જે રીતે ખેડૂતો વિવિધ રાજ્યોમાં તાલુકા અને જિલ્લા મુખ્યાલયોમાં વિરોધ પ્રદર્શન કરશે તે રીતે ઉત્તર પ્રદેશમાં પોલીસ સ્ટેશનોની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
ગુરનામ સિંહએ કહ્યું કે ખેડૂતો છેલ્લા 11 મહિનાથી ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. SKM ના નેતૃત્વ હેઠળ, ખેડૂતો સતત માગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ પાછા ખેંચવા જોઈએ અને MSP સુનિશ્ચિત કરવા માટે કાયદો બનાવવો જોઈએ. આ ખેડૂત આંદોલનમાં અત્યાર સુધીમાં 800થી વધુ ખેડૂતોના મોત થયા છે. તેમ છતા કેન્દ્ર સરકાર ત્રણેય કાયદા પાછી ખેંચે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.
આ લોકોની ધરપકડ કરવામાં આવી છે
આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાનો પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુ મુખ્ય આરોપી છે. 9 ઓક્ટોબરે પકડાયેલા આશિષ મિશ્રા ઉર્ફે મોનુ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. આ કેસમાં અત્યાર સુધી પકડાયેલા અન્ય આરોપીઓમાં ભાજપના વોર્ડ સભ્ય સુમિત જયસ્વાલ, અંકિત દાસ, લતીફ ઉર્ફે કાલે, શેખર ભારતી, શિશુ પાલ, સત્ય પ્રકાશ ત્રિપાઠી ઉર્ફે સત્યમ, નંદન સિંહ બિષ્ટ, આશિષ પાંડે અને લવકુશ રાણાનો સમાવેશ થાય છે. આ સિવાય સિંઘી નગરના મોહિત ત્રિવેદી, રિંકુ રાણા અને ધર્મેન્દ્ર સિંહનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : વારાણસીમાં PM મોદીની લોકોને ખાસ અપીલ, કહ્યું- લોકલ ચીજવસ્તુઓ જ ખરીદો, બધાની દિવાળી ખુશીઓથી ભરાઈ જશે
આ પણ વાંચો : કાશ્મીરના યુવાનોને અમિત શાહનો સંદેશ, કહ્યું – તમારા હાથમાં પથ્થર આપનારાઓએ તમારું શું ભલું કર્યું ?