
બીમારી ક્યારેય કોઈને પૂછીને આવતી નથી. અચાનક આવી પડતી મેડિકલ ઈમરજન્સી કે ગંભીર બીમારી સામાન્ય માણસની આખી જિંદગી કમાણીમાંથી કરેલ બચત સેકન્ડોમાં સાફ કરી નાખે છે. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને આ આર્થિક સંકટમાંથી બચાવવા માટે સરકાર દ્વારા ‘આયુષ્માન ભારત યોજના’ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે.
દેશના કરોડો નાગરિકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, પરંતુ મોટાભાગના લોકો એવા વહેમમાં જીવે છે કે આયુષ્માન કાર્ડ બની ગયા પછી હોસ્પિટલનો તમામ ખર્ચ 100 ટકા મફત થઈ જાય છે. વાસ્તવિકતા એ છે કે આ સરકારી યોજનાના પણ કેટલાક ચોક્કસ નિયમો અને મર્યાદાઓ છે. જો આ બાબતોની અગાઉથી ખબર ન હોય, તો હોસ્પિટલનું છેલ્લું બિલ જોઈને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવી શકે છે. આવો સમજીએ કે આયુષ્માન કાર્ડ હેઠળ કઈ સારવાર અને ખર્ચ કવર થતા નથી,
સૌથી મહત્વનો નિયમ એ છે કે આયુષ્માન યોજનાનો લાભ ત્યારે જ મળે છે જ્યારે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. જો કોઈ વ્યક્તિ સામાન્ય તાવ, શરદી, ઉધરસ કે માથાના દુખાવા માટે ડૉક્ટર પાસે કન્સલ્ટેશન માટે જાય છે, તો તેનો ખર્ચ આ યોજનામાં મળતો નથી. એટલે કે, હોસ્પિટલમાં દાખલ થયા વગર ડૉક્ટરની ફી, ક્લિનિકની મુલાકાત કે લેબોરેટરીમાં કરાતા સામાન્ય બ્લડ ટેસ્ટ, એક્સ-રે કે રૂટિન ચેકઅપનો ખર્ચ દર્દીએ પોતાની જેબમાંથી ભોગવવો પડે છે.
હોસ્પિટલમાં દાખલ હોવા છતાં પણ રોજિંદા વપરાશની કેટલીક દવાઓનો ખર્ચ આ કાર્ડમાં કવર થતો નથી. જેમ કે, વિટામિન્સની ગોળીઓ, કેલ્શિયમ, પ્રોટીન ટોનિક અને સામાન્ય હેલ્થ સપ્લીમેન્ટ્સના પૈસા દર્દીએ પોતે આપવા પડે છે. સરકાર માત્ર ગંભીર બીમારીના ઈલાજ સાથે જોડાયેલી કટોકટીની દવાઓનો ખર્ચ જ ઉઠાવે છે.
આ ઉપરાંત, સુંદરતા વધારવા માટે કરવામાં આવતી કોસ્મેટિક સર્જરી, સ્કિન ટ્રીટમેન્ટ કે પ્લાસ્ટિક સર્જરી આયુષ્માન યોજનાના દાયરામાં આવતી નથી. દાંતની સામાન્ય સફાઈ, કેવિટી ફિલિંગ જેવા ડેન્ટલ ઈલાજ પણ મફત થતા નથી. સંતાનપ્રાપ્તિ માટે કરાતી ટેસ્ટ ટ્યુબ બેબી એટલે કે આઈવીએફ (IVF) ની મોંઘી સારવારનો ખર્ચ પણ સરકાર આપતી નથી.
ઘણીવાર લોકો પૂરતી માહિતી વગર કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં પહોંચી જાય છે અને પછી ખબર પડે છે કે ત્યાં આયુષ્માન કાર્ડ ચાલતું જ નથી. આ યોજનાનો લાભ માત્ર સરકાર માન્ય પેનલમાં સામેલ (Empanelled) હોસ્પિટલોમાં જ મળે છે. જો હોસ્પિટલ આ યોજના સાથે જોડાયેલી ન હોય, તો સારવારનો પૂરો ખર્ચ દર્દીના માથે આવે છે. આ ઉપરાંત, જો તમે હોસ્પિટલમાં જઈને જનરલ વોર્ડના બદલે પ્રાઈવેટ રૂમ, સ્પેશિયલ એટેન્ડન્ટ કે મોંઘી વૈકલ્પિક સુવિધાઓ લો છો, તો હોસ્પિટલ તેની અલગથી વસૂલાત કરી શકે છે.
આથી, હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં જ આયુષ્માન મિત્ર અથવા વહીવટી ડેસ્ક પર જઈને કઈ કઈ સુવિધાઓ મફત છે અને કઈ સેવાના પૈસા અલગથી આપવાના રહેશે, તેની પૂરેપૂરી સ્પષ્ટતા કરી લેવી હિતાવહ છે.