પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. છેલ્લી બે રાત્રિમાં, પાકિસ્તાને ભારતના વસ્તીવાળા વિસ્તારો પર મિસાઇલ અને ડ્રોન થકી હુમલા કર્યા છે. જો કે, ભારતે પણ આનો જોરદાર જવાબ આપ્યો અને પાકિસ્તાનને ધ્વસ્ત કરી નાખ્યું.
હાલમાં, પેટ્રોલ પંપ અને એટીએમની બહાર લાંબી લાઈનોની લાગી રહી છે તેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર દેખાઈ રહી છે, જેના કારણે લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. હવે આ અંગે બેંકો અને તેલ કંપનીઓ તરફથી એક નિવેદન આવ્યું છે કે, ગભરાવાની જરૂર નથી, ભારત-પાક તણાવ વચ્ચે ભારતમાં બધું બરાબર છે અને કોઈ પણ વસ્તુની અછત નથી.
ઈન્ડિયન ઓઈલ દ્વારા સોશિયલ મીડિયા પર જણાવવામાં આવ્યું છે કે, દેશભરમાં તેમની પાસે પૂરતું ઈંધણ (ફ્યુલ) છે અને સપ્લાય લાઈનો પણ સરળતાથી કામ કરી રહી છે. તેઓએ લોકોને બિનજરૂરી ખરીદી ટાળવા અને શાંત રહેવાની અપીલ કરી છે, જેથી કોઈપણ ખલેલ વિના દરેકને ઈંધણ મળી શકે. HPCL અને BPCL એ પણ આવો જ સંદેશ આપ્યો છે.
અમદાવાદ સ્થિત ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), એક Fortune Global 500 કંપની છે. જે ભારતમાં અગ્રણી તેલ અને ગેસ કંપનીઓમાંની એક છે, તેને તમામ નાગરિકોને ખાતરી આપી છે કે તેના સમગ્ર દેશવ્યાપી નેટવર્કમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને એલપિજીની પૂરતી ઉપલબ્ધતા છે. BPCL ના તમામ ઇંધણ સ્ટેશનો અને એલપિજી વિતરક કેન્દ્રો દેશમાં સારું કામ કરી રહ્યા છે અને ગ્રાહકોની ઊર્જાની જરૂરિયાતો પુરી કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગભરાવાની કે પેનિક બાયિંગની કોઈ જ જરૂર નથી. અમારું સપ્લાય ચેઇન ઑપરેશન મજબૂત અને કાર્યક્ષમ છે, જે અવિરત સપ્લાય સુનિશ્ચિત કરે છે. અમે તમામ ગ્રાહકોને શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ. BPCL ઊર્જાની ઉપલબ્ધતા અને વિશ્વસનીયતા માટે પ્રતિબદ્ધ છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, ઈન્ડિયન બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકે ગ્રાહકોને ખાતરી આપી કે તેમના એટીએમ, કેશ ડિપોઝિટ મશીનો અને ડિજિટલ સેવાઓ સંપૂર્ણપણે ચાલુ રહેશે. આ બેંકોને ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ સરહદી વિસ્તારોમાં 24 કલાક એટીએમ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા અંગેની સૂચના આપવામાં આવી છે. ઇન્ડિયન બેંક અને IOB એ કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પોત-પોતાના વોર રૂમ સક્રિય કર્યા છે.
IOBના MD અને CEO અજય કુમાર શ્રીવાસ્તવે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીર સહિતના રાજ્યોમાં બેંકિંગ સેવાઓ સામાન્ય રીતે ચાલી રહી છે અને ATM પણ સંપૂર્ણપણે લોડેડ (ભરેલા) છે. આવી સ્થિતિમાં, બેંકો અને તેલ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે તેમની સેવાઓ સામાન્ય રીતે ચાલી રહી છે અને ગ્રાહકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.
Published On - 3:29 pm, Sat, 10 May 25