ઝારખંડ (Jharkhand)ના દેવઘર જિલ્લામાં આવેલ બાબા વૈધનાથ (Baba Baidyanath)ના VIP દર્શન માટે હવેથી ડિજિટલ કાર્ડ લેવું ફરજિયાત રહેશે. મંદિર પ્રશાસન હવેથી કાર્ડ વગર મંદિરની અંદર જવા દેશે નહીં. જો કે આ સમગ્ર પ્રક્રિયા મેટ્રો સ્ટેશન જેવી કરી દેવામાં આવી છે. જેમા જ્યાં સુધી મશીનમાં ડિજિટલ કાર્ડ નાખવામાં ન આવે ત્યાં સુધી તેનો ગેટ ખુલશે નહીં. આ દરમિયાન બાબા બૈદ્યનાથ ના મંદિરમાં હાલ 10 મશીનો સાથે નવી સિસ્ટમની ટ્રાયલ લેવામાં આવી રહી છે. તેની સફળતા બાદ મશીનોની સંખ્યા વધારવામાં આવશે. હાલ શ્રાવણ દરમિયાન ભક્તોની ભીડને જોતા આ નવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હાલની સ્થિતિ સુધી મંદિર પ્રશાસન દ્વારા બાબા બૈદ્યનાથના VIP દર્શન માટે અત્યાર સુધી કાગળના કાર્ડ આપવામાં આવતા હતા. જ્યાં કાગળના કાર્ડ પર બારકોડ રહેતો હતો, આ બારકોડ મંદિરમાં દર્શન માટે લાઈનમાં ઉભા રહેતા પહેલા સ્કેનર મશીન દ્વારા બારકોડ સ્કેન કરવામાં આવે છે. સ્કેનિંગ થયા બાદ VIP દર્શનાર્થીઓને મંદિરમાં મોકલમાં આવે છે. આ સિસ્ટમમાં પણ સમયનો બહુ વ્યય થતો હતો અને દર્શનાર્થીઓનો મોટાભાગનો સમય સ્કેનિંગમાં જ જતો હતો. આ ખામીને જોતા અને હાલ શ્રાવણ માસમાં ભાવિકોની સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને હાઈટેક વ્યવસ્થાના ભાગ રૂપે ડિજિટલ કાર્ડની સિસ્ટમ લાવવામાં આવી છે. જેના ભાગ રૂપે મેટ્રો સ્ટેશનો પર જોવા મળતા ગેટ મશીનો હાલ મંદિરમાં લગાવવામાં આવ્યા છે અને તેનું ટ્રાયલનું કામ ચાલી રહ્યુ છે.
બાબા બૈદ્યનાથ મંદિરમાં ભીડને જોતા VIP દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થામાં ભક્તોને ગર્ભગૃહ સુધી પહોંચવામાં ઓછો સમય લાગે છે. આવી સ્થિતિમાં બાબાના દર્શન કરવા માટે સામાન્ય દર્શનાર્થીઓને લાંબી લાઈનોમાંથી પસાર થવું પડે છે તો બીજી તરફ VIP દર્શન માટે આવનારા દર્શનાર્થીઓની લાઈનો ઘણી નાની હોય છે. VIP દર્શન માટે દર્શનાર્થીઓએ ટિકિટ લેવાની રહે છે, જે 250 રૂપિયામાં મળી જાય છે. મંદિર પ્રશાસનના કાઉન્ટર પરથી પાસ લેનારાને જ VIP દર્શનની અનુમતી મળે છે
મંદિર પ્રશાસનનું કહેવું છે કે નવી ડિજિટલ પ્રક્રિયાને કારણે બાબા વૈદ્યનાથની દર્શને આવતા ભક્તોનો ઘણો સમય બચશે, જેના કારણે ભક્તો મંદિરમાં વહેલા દર્શનની વ્યવસ્થાનો લાભ સરળતાથી લઈ શકશે. હાલ પ્રથમ તબક્કામાં 10 મશીનો લગાવવામાં આવ્યા છે અને તેની ટ્રાયલ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે આ મશીનો ભક્તો માટે સંપૂર્ણ રીતે સક્રિય છે. તેમની કામ કરવાની ક્ષમતા પણ ઘણી ઝડપી છે. મેટ્રો સ્ટેશનોની જેમ તેમાં પણ ડિજિટલ કાર્ડ વિના કોઈને એન્ટ્રી નહીં મળે. જેનાથી મંદિર પ્રશાસનની સાથે-સાથે ભક્તોને પણ ઘણી સરળતા રહેશે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં આ સેવાઓનો ઝડપથી વિસ્તાર કરવામાં આવશે.