
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ નવમી પર શ્રદ્ધાની લહેર ફૂંકાઈ રહી છે. આખું શહેર રામમય બની ગયું છે. રામ મંદિરની ભવ્યતા જોવા જેવી છે. આજે રામલલ્લાને લલાટે સૂર્યના કિરણથી અભિષેક કરવામાં આવ્યુ હતુ. ચાર લેન્સ અને ચાર અરીસાની મદદથી, સૂર્ય કિરણ રામલલ્લાના કપાળ સુધી પહોંચ્યુ. વૈદિક મંત્રોના જાપથી મંદિર પરિસર ભક્તિમય બની ગયું. આ સમય દરમિયાન, ભક્તોએ ભગવાન રામ અને માતા સીતાના જયઘોષ કર્યા હતા.
આ પ્રસંગે સમગ્ર મંદિર સંકુલ ભગવાન રામની ભક્તિમય લાગણીઓ ભરાઈ ગયું હતું. રામ મંદિરમાં ભક્તોનો મેળો જામ્યો છે. રવિવારે સવારથી જ રામ મંદિરમાં, વિવિધ જન્મ કાર્યક્રમો શરૂ થઈ ગયા. રામ લલ્લાના લલાટે સૂર્ય તિલકનું આયોજન કરાયુ તે દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. દેશભરમાંથી જ નહીં પણ વિદેશમાંથી પણ લોકો રામ મંદિરે, આ ઘડીને નિહાળવા માટે પહોંચ્યા અને આના સાક્ષી બન્યા. રામ મંદિરની મુલાકાતે આવેલા ભક્તો પર ડ્રોનનો ઉપયોગ કરીને સરયુનું પાણી વરસાવવામાં આવ્યું. રામ મંદિરમાં આવેલા ભક્તોમાં ભારે ઉત્સાહ છે.
અયોધ્યામાં સર્વત્ર ભગવાન રામના મંત્રો ગુંજી રહ્યા છે. દેશના ખૂણે ખૂણેથી ભક્તો રામ મંદિર પહોંચ્યા છે અને રામ લલ્લાના દર્શન કરી રહ્યા છે. 12 વાગ્યે સૂર્ય તિલક પછી, વધુ કાર્યક્રમો યોજાયા છે. મોડી સાંજે, અયોધ્યામાં સરયુ નદીના કિનારે દીપોત્સવ ઉજવવામાં આવશે, જ્યાં દોઢ લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવશે. આ સાથે અયોધ્યામાં કડક સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અયોધ્યા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, અયોધ્યાને અલગ અલગ ઝોન અને સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભારે વાહનોને પૂર્વાંચલ એક્સપ્રેસ વે દ્વારા મોકલવામાં આવી રહ્યા છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન થાય. તેમણે કહ્યું કે મહાકુંભની જેમ, વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અયોધ્યાના વિભાગીય કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું હતું કે, રામ નવમી પર અયોધ્યા આવતા ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટીતંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે.
વિભાગીય કમિશનરે જણાવ્યું હતું કે રામ મંદિર અને હનુમાનગઢી સહિતના મુખ્ય સ્થળોએ ભક્તોને ગરમી અને તડકાથી બચાવવા માટે છાંયડા અને સાદડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તમામ મુખ્ય સ્થળોએ ઠંડુ પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે 14 સ્થળોએ કામચલાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સ્થાપ્યા છે, જેમાં ડોકટરોની નિમણૂક કરવામાં આવે છે. આ ઉપરાંત, કટોકટી માટે સાત સ્થળોએ 108 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના મુજબ, સવાર, બપોર અને સાંજે નિયમિત સફાઈ માટે અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓની એક ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે.
અયોધ્યા સહીત દેશમાં રોજબરોજ બનતી નાની મોટી અને મહત્વની ઘટનાને લગતા વિવિધ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો