મહારાષ્ટ્રમાં (Maharashtra Politics) મુખ્યમંત્રી પદ ગુમાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની રાજકીય કારકિર્દીનું પતન જોવા મળી રહ્યું છે. આ જ કડીમાં, બળવાખોર શિવસેના (Shiv Sena) નેતા રાહુલ શેવાલેએ જાહેર કર્યું છે કે ઉદ્ધવ ઠાકરે 2024ની લોકસભા ચૂંટણી માટે “જીતવા યોગ્ય” ચહેરો નથી અને તેમના માટે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધન કરવું ફરજિયાત હતું. શેવાલેએ મંગળવારે પીટીઆઈને કહ્યું હતું કે મેં ઠાકરે સાથેની મુલાકાત દરમિયાન લોકસભા ચૂંટણી માટે નેતૃત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર સંજય રાઉતે ઠાકરેને ચૂંટણીના ચહેરા તરીકે ઈશારો કર્યો હતો. મેં તેમને કહ્યું કે અમે ઠાકરેનું સન્માન કરીએ છીએ, પરંતુ અમારે વાસ્તવવાદી બનવું પડશે. તેઓ લોકસભા ચૂંટણીનો ચહેરો બની શકે નહીં.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર શેવાલેએ કહ્યું કે આ ઉપરાંત સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી લડશે, જે અમારા કાર્યકર્તાઓને સ્વીકાર્ય નહીં હોય. શેવાલે અને અન્ય 11 લોકસભા સભ્યોએ શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે પ્રત્યે તેમની નિષ્ઠા દર્શાવી છે. શિવસેનામાં ભારે બળવાને કારણે ઠાકરેએ રાજીનામું આપ્યા પછી 30 જૂને તેમને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
શેવાલેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં શિવસેના નેતાઓ ભાજપ સાથે ગઠબંધનની તરફેણમાં છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી લોકસભા ચૂંટણી લડવા આતુર છે. તેમણે એમ પણ કહ્યું કે શિવસેનાના નેતાઓએ પાર્ટીમાં અસુરક્ષિત અનુભવવાનું શરૂ કર્યું જ્યારે નેતૃત્વએ સામાન્ય ચૂંટણીઓ માટે ચર્ચા દરમિયાન એનસીપીને મુખ્ય લોકસભા ક્ષેત્રોની ઓફર કરી.
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા શિવસેનાના 40 ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરે જૂથ છોડીને શિંદે જૂથમાં જોડાયા પછી 12 સાંસદો પણ શિંદે જૂથમાં જોડાયા હતા. આ પછી, ઉદ્ધવ જૂથમાંથી બળવો કરીને શિંદે જૂથમાં સામેલ થયેલા રાહુલ શેવાલેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભામાં શિવસેનાના નેતા તરીકે માન્યતા આપી હતી. આ સંદર્ભમાં, 19 જુલાઈની મોડી રાત્રે લોકસભા સચિવાલયમાંથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં આ અંગેનો નિર્ણય જાહેર કરાયો હતો.