મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) શિવસેનાના (Shiv Sena) મુખપત્ર સામનાના મુખ્ય સંપાદકનું પદ સંભાળ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ ચાર્જ સંભાળતાની સાથે જ સામનામાં પ્રકાશિત થયેલા એક તંત્રીલેખમાં MVA (મહારાષ્ટ્ર વિકાસ અઘાડી)ના ભૂતપૂર્વ સાથી NCP સહિત તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોને નિશાન બનાવ્યા હતા. સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ દ્વારા ગત સપ્તાહે મોંઘવારી, બેરોજગારી અને આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટી વધારા સામે દેશવ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ એનસીપી, તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષોએ આ આંદોલનમાં ભાગ લીધો ન હતો.
શિવસેનાના મુખપત્ર સામનામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં કેન્દ્રની મોદી સરકાર ED અને CBIને વિપક્ષી પાર્ટીઓના નેતાઓની પાછળ મોકલીને નિશાન બનાવી રહી છે, જેથી વિપક્ષની એકતા નબળી પડી શકે. આમ છતાં વિરોધ પક્ષો એકસાથે આવ્યા વિના અલગ-અલગ રસ્તે ચાલી રહ્યા છે. વિરોધ પક્ષોના નેતાઓ કોંગ્રેસના આંદોલનથી દૂર રહ્યા હતા. લોકશાહી માટે આ ચિંતાજનક છે.
તમને જણાવી દઈએ કે, મુખ્ય સંપાદક શિવસેના સાંસદ સંજય રાઉત હાલમાં પાત્રા ચોલ કેસમાં EDની કસ્ટડીમાં છે. તેમની ગેરહાજરીમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સામનાના મુખ્ય સંપાદકનું પદ સંભાળ્યું છે. તેમણે કાર્યભાર સંભાળતાની સાથે જ આ તંત્રીલેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સંપાદકીયમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરવા બદલ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરવામાં આવી છે.
સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ભાજપની આગેવાની હેઠળની સરકાર સામે વિરોધ કરવા બદલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા કારણ કે તેઓએ મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. એ જ રીતે સંજય રાઉત સામે EDની કાર્યવાહી બાદ શિવસેના પણ આક્રમક હતી. જો કે અન્ય વિપક્ષી નેતાઓની ભૂમિકા શંકાસ્પદ છે. આ લોકશાહી અને સ્વતંત્રતા માટે ચિંતાજનક છે.
શિવસેનાએ પહેલીવાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી પર પણ નિશાન સાધ્યું હતું. શિવસેનાએ કહ્યું, અમને ગંભીર લાગે છે કે ટીએમસીના સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નજીવા કારણોસર મતદાન કર્યું નથી. બંગાળમાં ED અને CBIની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ED દ્વારા રાહુલ અને સોનિયા ગાંધીને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. છતાં તેઓ મોંઘવારી અને બેરોજગારી સામે રસ્તા પર ઉતરી આવ્યા છે.