સુરતના (Surat ) પુણા વિસ્તારમાં (puna Area) રેલવે પાટા નજીક આવેલી રાજીવ નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા બિહારી શ્રમજીવી પરિવારની (Working family) બે બહેનો રમતી વખતે ગુમ થઇ ગઇ હતી. મોડી રાત્રે પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો.
પોલીસને સોશિયલ મીડિયાના માધ્યમથી બંને બાળકીઓ મુંબઈના બાંદ્રા ખાતે હોવાની જાણકારી મળી હતી. જેને ધ્યાનમાં રાખીને પોલીસની એક ટીમ રવાના થઈ હતી. અને રાત્રે આ બાળકીઓને પરત લઇ આવીને તેના પરિવારને હેમખેમ સુપરત કરી હતી.
બાળકીઓ બિહાર ખાતે રહેતી તેમની દાદીને મળવા જવાની ઘેલછામાં અન્ય ટ્રેનમાં બેસી જતાં મુંબઇ પહોંચી ગઈ હતી. રાજીવ નગર ઝુપડપટ્ટીમાં રહેતા બિહારી પરિવારની પાંચ અને છ વર્ષની બે પિતરાઇ બહેનો બપોરે ઘરઆંગણે રમતી વેળા અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવાર દ્વારા રાત્રે 11 વાગ્યે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા 55 થી વધુનો પોલીસ કાફલો બંને બાળકોની શોધખોળ માં જોડાયો હતો.
સુરતના રેલવે સ્ટેશન પાર્કિંગ, રેલવેના પાટા, બસ સ્ટેન્ડ, અવાવરી જગ્યા ઉપરાંત કામદારોને પણ પુછપરછ હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે સીસીટીવી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવતા આખી રાત જહેમત ઉઠાવ્યા પછી બંને બાળકીઓ મુંબઈમાં રેલવે પોલીસને મળી હતી.
બંને દીકરીઓને સલામત રીતે સુરત પરત લાવવામાં આવી હતી. પુણા પોલીસની એક ટીમ મુંબઈના બાંદ્રા ખાતે પહોંચી હતી અને રાત્રે બંને બાળકીઓને પરત લઇ આવી હતી. બાળકોને પૂછતા તેઓ બિહાર ખાતે રહેતી દાદી ને મળવાની ઘેલછામાં રેલવે સ્ટેશન પહોંચી હતી. પરંતુ ટ્રેનની જાણકારી ન હોવાથી અન્ય ટ્રેનમાં બેસી ગઈ હતી. જોકે બંને દીકરીઓ માતા પિતાને મળી જતા તેમણે હાશકારો અનુભવ્યો હતો. અને પોલીસ આભાર વ્યક્ત કર્યો હતો.