મહારાષ્ટ્રમાં (Maharashtra) ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Chief Minister Uddhav Thackeray) બળવાખોરો સામે કડક કાર્યવાહી કરી છે. 9 બળવાખોર મંત્રીઓના મંત્રાલયો છીનવી લેવામાં આવ્યા છે. સુભાષ દેસાઈને (Subhash Desai) એકનાથ શિંદેના વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે મંત્રીઓની ગેરહાજરીને કારણે સરકાર અને વહીવટીતંત્રના કામ પર અસર ના થવી જોઈએ. આ જ કારણ છે કે શિવસેનાના (Shiv Sena) બળવાખોરો પાસેથી ખાતાઓ આંચકી લઈને અન્ય પ્રધાનોને સોપી દેવામાં આવ્યા છે.
એકનાથ શિંદેનું (Eknath Shinde) શહેરી વિકાસ, જાહેર બાંધકામ વિભાગ મંત્રી સુભાષ દેસાઈને સોંપવામાં આવ્યું છે. અનિલ પરબને ગુલાબરાવ રઘુનાથ પાટીલના પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. દાદાજી ભૂસે પાસેથી કૃષિ મંત્રાલય છીનવીને શંકર યશવંતરાવ ગડખને આપવામાં આવ્યું છે. આદિત્ય ઠાકરેને ઉદય સામંત પાસેના ઉચ્ચ શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. સામંત એ છેલ્લા મંત્રી છે જેમણે શિંદેની શિબિરમાં હાજરી આપી હતી. ત્યાર બાદ તેઓ એકનાથ શિંદે જૂથમાં ભળી ગયા હતા.
જો કે, ઉદ્ધવ જૂથ એવો પ્રયાસ કરી રહ્યુ છે કે તેઓ જ વાસ્તવિક બોસ છે. પરંતુ બીજી તરફ શિંદે જૂથ મજબૂત થઈ રહ્યુ છે. એકનાથ શિંદેનું કહેવું છે કે મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધને ગૃહમાં બહુમતી ગુમાવી દીધી છે. શિવસેના વિધાયક દળના 39 સભ્યોએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. આથી હવે ઉદ્ધવ સરકારનો કોઈ અર્થ નથી.
બીજી તરફ ઠાકરે સરકાર અને શિવસેનાની સામે ચાલી રહેલી લડાઈ હવે સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચી ગઈ છે. આજે સુનાવણી દરમિયાન બળવાખોર ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે ડેપ્યુટી સ્પીકરને હટાવવા માટેની અરજી હજુ પેન્ડિંગ છે, તેથી તે નક્કી થાય તે પહેલાં તેઓ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી શકે નહીં. સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યોએ, સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવ્યા પૂર્વે સંબંધિત હાઈકોર્ટમાં જવું જોઈતું હતું.