
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાનો 60મો સ્થાપના દિવસ અલગ-અલગ ઉજવ્યો. શિંદેએ પોતાને ‘સિંહ’ અને તેમના વિરોધીઓને ‘ભસતા કૂતરા’ ગણાવ્યા, જ્યારે બાલાસાહેબના વારસાને વિચારધારા સાથે જોડ્યો.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના 60મા સ્થાપના દિવસની ઉજવણી અલગ અલગ કરી. શિવસેનાના 60મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે, એકનાથ શિંદેએ, વાઘ, સિંહ, ભસતા કૂતરા અને એક પોલિટીકલ ‘ટ્રેલર’ વિશે વાત કરી. તો ઉદ્ધવ ઠાકરેએ, પક્ષના કાર્યકરોને ભાવનાત્મક અપીલ કરી.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) એક નવા સંકટ વચ્ચે આ મુકાબલો થઈ રહ્યો છે. એવા અહેવાલો છે કે, પાર્ટીના લોકસભાના નવ સાંસદમાંથી છ સાંસદ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેના જૂથમાં જોડાવાના છે.
મુંબઈમાં પાર્ટી કાર્યકરોને સંબોધતા,મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમના જૂથને બાળાસાહેબ ઠાકરેના સાચા રાજકીય વારસાના વારસદાર તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો.
શિંદેએ કહ્યું, “આ તો હજુ એક ટ્રેલર છે, આખુ પિચ્ચર હજુ બાકી છે. આજે તમારી સામે સિંહ ઉભો છે. કેટલાક કૂતરા ભસતા રહે છે. તેઓ કાલે અને પરમ દિવસે પણ ભસતા રહેશે. હું તમને એક વાત કહી દઉં કે, કૂતરાઓ ટોળામાં ભસે છે, પરંતુ સિંહ એકલો આવે છે. જ્યારે સિંહ શિકાર કરે છે, ત્યારે કૂતરાઓ ભસતા રહે છે. જ્યારે સિંહ ગર્જના કરે છે, ત્યારે કૂતરાઓ ભસતા રહે છે. આ શિવસેના છે. આ જ શિવસેના છે. અને આજે, આ શિવસેના મહારાષ્ટ્રમાં મજબૂત રીતે ઉભી છે.”
ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના, એકનાથ શિંદેએ પ્રશ્ન કર્યો કે નેતાઓ અને કાર્યકરો હરીફ જૂથમાં કેમ જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું, “કેટલાક લોકો કહેતા રહે છે કે જો કોઈ જવા માંગે છે, તો તેમને ખુશીથી જવા દો. તેમને જુઓ, તેઓ દરરોજ બકવાસ કરતા રહે છે. સારું, તેમને જવા દો. પરંતુ હવે, બધા જઈ રહ્યા છે. આવા સમયે તેઓ કેમ જઈ રહ્યા છે ? તે માટે તમારે ખરેખર આત્મ મંથન અને આત્મ વિશ્લેષણ કરવું જોઈએ.”
શિંદેએ વિરોધીઓને ભારપૂર્વક કહ્યું, “તમારા પગ નીચે હવે કોઈ જમીન નથી. તમારા પગ નીચેથી જમીન સરકી ગઈ છે. આ વાત જરૂર આશ્ચર્યજનક લાગશે પરંતુ હજુ પણ તેમને એનો ખ્યાલ નથી.” શિંદેએ પોતાના સંબોધન દરમિયાન શિવસેનાના વિભાજન પછીથી જે મુખ્ય પ્રશ્ન ઉઠાવ્યો છે તેને સંબોધવાનો પ્રયાસ કર્યો: બાલ ઠાકરેનો સાચો રાજકીય વારસો કોણ રજૂ કરે છે?
શિંદેએ દાવો કર્યો હતો કે, “મારા શિવસૈનિકો બાળાસાહેબ ઠાકરેના સાચા વારસદાર છે. ઉત્તરાધિકાર લોહીના સંબંધોથી નહીં, પણ વિચારધારાથી નક્કી થાય છે. શિવસેના જમીનનો ટુકડો નથી. તે લાખો લોકોની વિચારધારા છે.”
નાયબ મુખ્ય પ્રધાને 2022 માં ઉદ્ધવ ઠાકરેથી અલગ થવા અને ભાજપ સાથે જોડાવાના પોતાના નિર્ણયનો પણ બચાવ કર્યો હતો. શિંદેના મતે, તેમના વિરોધીઓએ રાજકીય વિનાશની આગાહી કરી હતી અને દાવો કર્યો હતો કે તેઓ ખેતી કરવા માટે તેમના ગામમાં પાછા ફરશે. તેનાથી વિપરીત, તેમણે નિર્દેશ કર્યો કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમના જૂથની તાકાત ખરેખર વધી ગઈ છે.