જામીન મળ્યા બાદ સાંસદ નવનીત રાણા (MP Navneet Rana) આજે જેલમાંથી મુક્ત થયા છે. જો કે, તેમની તબિયત ફરી બગડતાં તેમને મુંબઈની (Mumbai) ભાયખલા જેલમાંથી સીધા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. નવનીત રાણાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ તેમનું બ્લડ પ્રેશર પણ વધી ગયું છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) મુંબઈ સ્થિત નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કર્યા પછી વિવાદને કારણે નવનીત રાણાની તેમના પતિ સાથે 23 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે તેમને જામીન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બાંદ્રામાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેર જાહેરાત પર વિવાદ સર્જાયા બાદ 23 એપ્રિલે સ્વતંત્ર લોકસભા સભ્ય નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે રાણા દંપતીની રાજદ્રોહ સહિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી.
જો કે, દંપતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતને ધ્યાને રાખીને ઠાકરેના ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની તેમની યોજનાને રદ કરી દીધી હતી. કોર્ટે બુધવારે તેની જામીન અરજી મંજૂર કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા વિરુદ્ધ રાજદ્રોહનો આરોપ લગાવવાનો મુંબઈ પોલીસનો નિર્ણય મૂર્ખતાપૂર્ણ છે. મુખ્યપ્રધાન ફડણવીસે કહ્યું, “હનુમાન ચાલીસાના પાઠ કરવા બદલ કોઈની ધરપકડથી મોટી મૂર્ખતા કંઈ હોઈ શકે નહીં.” આ સરકારની મૂર્ખતા હતી અને (રાણા દંપતીને) મળેલા જામીન તેને યોગ્ય ઠેરવે છે.
રાણા દંપતીના કેસની ચર્ચા શનિવારે (30 એપ્રિલ) પૂર્ણ થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. આ પછી સોમવારે સુનાવણી થવાની હતી. પહેલા કોર્ટે કહ્યું કે તે જામીન અરજી પર બપોરે 3 વાગ્યે સુનાવણી કરશે. આ પછી 5 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. સાંજે પાંચ વાગ્યે પણ કામકાજની વ્યસ્તતાને કારણે નિર્ણય સંભળાવી શકાયો ન હતો. મુંબઈ સેશન્સ કોર્ટે 4 મેએ સવારે 11 વાગ્યે ફરી સુનાવણી માટે સમય આપ્યો હતો. ત્યારબાદ કોર્ટે કેટલીક શરતો સાથે રાણા દંપતીની જામીન અરજી સ્વીકારી હતી.
અમરાવતીના સાંસદ નવનીત રાણાએ સોમવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને સ્પષ્ટતા કરી હતી કે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન બહાર “હનુમાન ચાલીસા” ના પાઠ કરીને તેઓ શિવસેનામાં ‘હિંદુત્વ’ની ભાવના જગાવવા માંગતા હતા, ધાર્મિક તણાવ પેદા કરવાનો કોઈ હેતુ નહોતો.