આર્યન ખાન ડ્રગ કેસની (Aryan Khan Drug Case) તપાસ કરી રહેલા એનસીબીના સમીર વાનખેડે (Sameer Wankhede, NCB)ની અરજીને મુંબઈની કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી NCB ટીમ અને સમીર વાનખેડે વતી આ કેસના સાક્ષી પ્રભાકર સાઈલના (Prabhakar Sail) એફિડેવિટ સામે દાખલ કરવામાં આવી હતી. કોર્ટને અપીલ કરવામાં આવી હતી કે પ્રભાકરના સોગંદનામાનું ધ્યાન ન લે અને આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસમાં કોઈ પણ અવરોધ લાવવાના પ્રયાસને અટકાવે.
સ્પેશિયલ જજ વી. વી. પાટીલે એનસીબીની અરજી ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે NCBને જે પણ કહેવું હોય તે હાઈકોર્ટમાં જઈને કહેવું જોઈએ. સેશન્સ કોર્ટમાં આ મામલો સમાપ્ત થઈ ગયો છે. ન્યાયાધીશ વી.વી.પાટીલે કહ્યું કે આ મામલો હવે હાઈકોર્ટમાં છે. તેથી તેઓ આ બાબતે કોઈ આદેશ આપી શકતા નથી. હવે શું NCB આ મામલે હાઈકોર્ટમાં જશે? આ જોવા જેવી બાબત હશે.
પ્રભાકર સાઈલે આરોપ મૂક્યો હતો કે એનસીબીના અધિકારીઓ અને સમીર વાનખેડેએ આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન તેની પાસેથી 10 કોરા કાગળો પર સહી કરાવી લીધી હતી અને તેનો પંચના સાક્ષી તરીકે ઉપયોગ કર્યો હતો. પ્રભાકર સાઈલ આ મામલે 9 સાક્ષીઓમાંથી એક કિરણ ગોસાવીનો બોડીગાર્ડ છે.
પ્રભાકરે દાવો કર્યો છે કે તેણે ગોસાવી અને સેમ ડિસોઝા વચ્ચેની વાતચીત સાંભળી હતી. તે વાતચીતમાં ગોસાવીએ સેમને આર્યન ખાનના કેસને દબાવવા માટે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની સાથે 25 કરોડનો સોદો કરવા કહ્યું હતું. આ પછી 18 કરોડમાં ડીલ ફાઈનલ કરવાની વાત થઈ હતી. તેમાંથી 8 કરોડ સમીર વાનખેડેને આપવાના હતા. પ્રભાકર સાઈલે કહ્યું કે તેણે અત્યાર સુધી આ વાત છુપાવી છે કારણ કે સમીર વાનખેડે તરફથી તેના જીવને જોખમ છે.
પ્રભાકર સાઈલે ત્યારબાદ પોલીસ સુરક્ષા માટે સહર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રભાકરની માંગણી મુજબ તેને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. પ્રભાકર સાઈલના વકીલના જણાવ્યા અનુસાર પ્રભાકરે આ કેસ સાથે જોડાયેલા તમામ પુરાવા ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધા છે.
આ પણ વાંચો : ખુશખબર : ટાટા સ્ટીલ કંપનીનો મોટો નિર્ણય, હવે કર્મચારીઓ તેમના બાળકો અને આશ્રિતોને નોકરી ટ્રાન્સફર કરી શકશે