મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની હવા ઝેરી બની ગઈ છે. તેનાથી લોકોને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને શરદી, ઉધરસ અને ગળામાં ખરાશની સમસ્યાઓ થઈ રહી છે. શ્વાસ લેવામાં લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે ઘણા લોકોને ગૂંગળામણ જેવું લાગી રહ્યું છે. સતત છઠ્ઠા દિવસે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ દિલ્હીથી પણ ખરાબ નોંધાઈ રહ્યું છે. મુંબઈનો આ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300ને વટાવી ગયો છે. મુંબઈનો AQI 319 નોંધાયો છે.
હવાની ગુણવત્તા ખરાબ હોવાના કારણે પવનની ઝડપ ઓછી થઈ ગઈ છે. આ કારણથી દક્ષિણ અને મધ્ય ભાગની હવાની ગુણવત્તા પણ નબળી હોવાનું નોંધવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્ય સરકાર અથવા મહાનગરપાલિકા તંત્ર તરફથી મુંબઈની હવાના કથળતા સ્તરને રોકવા માટે કોઈ ખાસ ઉપાય લેવામાં આવ્યા નથી.
આ મુદ્દે આજે ચર્ચા કરવા માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને મુખ્યપ્રધાન એકનાથ શિંદેના મુંબઈ સ્થિત સરકારી બંગ્લા ‘વર્ષા’માં પહોંચ્યા. AQIનું લેવલ 319 પહોંચવાનો મતલબ છે કે હવાની ગુણવત્તા ખુબ જ ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે. જો તુલના કરવામાં આવે તો દિલ્હીની હવાની ગુણવત્તા મુંબઈથી સારી છે. દિલ્હીમાં હાલ AQI 308 પર છે.
મુંબઈ અને તેની આસપાસ સૌથી વધારે ખરાબ સ્થિતિ ચેમ્બુર અને નવી મુંબઈની હવાની ગુણવત્તાની છે. નવી મુંબઈમાં AQI 362, અંધેરીમાં 327, ચેમ્બૂરમાં 352, બીકેસીમાં 325, બોરીવલીમાં 215, વરલીમાં 200, માઝગાંવમાં 331, મલાડમાં 319, કોલાબામાં 323 અને ભાંડુપમાં 283ને પાર ગયું છે. ચેમ્બૂર અને નવી મુંબઈની હવાની ગુણવત્તા ખુબ જ ખતરનાક લેવલ પર છે.
ત્યારે જનતાને અપીલ કરવામાં આવી છે કે તે માસ્કનો ઉપયોગ ચાલુ રાખે, પૂર્વ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરી સરકાર પર કટાક્ષ કર્યો છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે મુંબઈ ક્લાઈમેટ એક્શન પ્લાનને લઈ સરકાર ગંભીર નથી. આ સંબંધમાં સરકારે કામ પણ અટકાવી દીધા છે. આ વાતને લઈ આલોચના કરવામાં આવી છે. શહેરમાં મેટ્રોનું કામ, વધતી ગાડીઓની સંખ્યા, રસ્તાનું સમારકામ, કન્સ્ટ્રક્શનના કામ અને ધૂળ ઉડવાના કારણે હવાના પ્રદૂષણમાં ઝડપથી વધારો થયો છે.