મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજ્યસભાની ચૂંટણી બાદ મતગણતરી શરૂ થઈ નથી. સાંજે 7 વાગ્યા પછી પણ મતગણતરી શરૂ થઈ ન હતી. ભાજપે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી રદ કરવાની માંગ કરી છે. ભાજપે મહારાષ્ટ્રની સાથે હરિયાણાની રાજ્યસભાની ચૂંટણી રદ કરવાની માંગ કરી છે. ભાજપનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ચૂંટણી પંચને (Election Commission) મળ્યું હતું અને ક્રોસ વોટિંગની ફરિયાદ કરી હતી અને આ ચૂંટણી રદ કરવાની માંગ કરી હતી. ભાજપ બાદ કોંગ્રેસે પણ મહા વિકાસ અઘાડી વતી ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસ નેતા અને અઘાડી સરકારમાં મંત્રી અસલમ શેખે આ માહિતી આપી છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ મહારાષ્ટ્ર અને હરિયાણા અંગે શું નિર્ણય લે છે તેના પર તમામની નજર છે.
ભાજપે મહા વિકાસ અઘાડીના ત્રણ મતો સામે વાંધો ઉઠાવ્યો છે. આ પછી કેન્દ્રીય ચૂંટણી પંચે મતગણતરી અટકાવી દીધી છે. બીજેપીની ફરિયાદ બાદ મહા વિકાસ અઘાડીએ પણ કેન્દ્રીય ચૂંટણી પંચને તેની ફરિયાદ કરી છે. કોંગ્રેસે મહા વિકાસ અઘાડી વતી આ ફરિયાદ નોંધાવી છે. ધારાસભ્ય રવિ રાણા અને સુધીર મુનગંટીવારના વોટિંગને લઈને ફરિયાદ કરવામાં આવી છે.
ભાજપ તરફથી કેન્દ્રીય ચૂંટણી પંચને મળેલા પ્રતિનિધિમંડળમાં મુખ્તાર અબ્બાસ નકવી, ગજેન્દ્ર સિંહ શેખાવત હાજર હતા. અર્જુન રામ મેઘવાલ અને જિતેન્દ્ર સિંહ પણ કેન્દ્રીય ચૂંટણી પંચને મળવા પહોંચ્યા હતા. ચૂંટણી પંચે ગેરરીતિની ફરિયાદો અંગે તપાસ માટે મતદાન મથકોના વીડિયો ફૂટેજ મંગાવ્યા છે. આ ફૂટેજ તપાસ્યા બાદ જ તે ત્રણ મતોને લઈને શરૂ થયેલા વિવાદ અંગે નિર્ણય લેશે.
મત ગણતરી બંધ થયા બાદ શિવસેના વતી સંજય રાઉતે આના પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સંજય રાઉતે ટ્વીટ કરીને પૂછ્યું છે કે રાજ્યસભા ચૂંટણીની મત ગણતરી કોણે અને શા માટે અટકાવી? રાઉતે પોતાના ટ્વીટમાં કહ્યું, ‘જો EDનો દાવ કામ ન આવ્યો તો ભાજપનો દાવ શરૂ થઈ ગયો છે. પણ જીતીશું તો અમે જ. જય મહારાષ્ટ્ર!’
રાઉતે કહ્યું કે જબરજસ્તી કાંટાની ટક્કરનો માહોલ બનાવવામાં આવ્યું. સીએમ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડીને 169 ધારાસભ્યોનું સમર્થન છે. આવી સ્થિતિમાં અઘાડીના ચારેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે. કોંગ્રેસના એક ઉમેદવાર અને એનસીપીના એક ઉમેદવાર અને શિવસેનાના બંને ઉમેદવારો જીતશે.