મહારાષ્ટ્રમાં (Rainfall in Maharashtra) ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિનાશ થયો છે, ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. રાજ્યના મરાઠવાડા(Marathwada) વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ અને પૂરને કારણે 10 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકોના ઘરો ધોવાઈ ગયા છે.
અધિકારીઓએ મંગળવારે માહિતી આપી હતી કે મરાઠવાડા ક્ષેત્રમાં 10 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 200 થી વધુ ઢોર તણાઈ ગયા છે અને આ વિસ્તારમાં વરસાદના પ્રકોપમાં અનેક મકાનોને પણ નુકસાન થયું છે. તેમાં ઓરંગાબાદ (Aurangabad), લાતુર (Latur), ઉસ્માનાબાદ, પરભણી, નાંદેડ, બીડ, જાલના અને હિંગોલી જિલ્લાઓનો સમાવેશ થાય છે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 48 કલાકમાં પ્રદેશના છ જિલ્લાઓમાંથી 10 લોકોના મોત થયા છે, જેમાં બીડમાં ત્રણ, ઉસ્માનબાદ અને પરભણીમાં બે -બે અને જાલના, નાંદેડ અને લાતુરમાં એક -એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
ચક્રવાતી વાવાઝોડુ ગુલાબને (Cyclone Gulab) કારણે ખાસ કરીને મરાઠાવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં (North Maharashtra) મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ચક્રવાતી વાવાઝોડા ગુલાબને કારણે લો પ્રેશરનો વિસ્તાર તૈયાર થયો છે. આગામી 48 કલાક સુધી તેની અસર રાજ્યના ઘણા વિસ્તારોમાં દેખાશે.
આ દરમિયાન હવામાન વિભાગે મહારાષ્ટ્રના 5 જિલ્લાઓ – પાલઘર, નાસિક, જલગાંવ, ઓરંગાબાદ અને જાલના માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 12 જિલ્લાઓમાં બુલઢાણા, અકોલા, અમરાવતી, વાશિમ, યવતમાલ, વર્ધા, નાગપુર, ચંદ્રપુર, સોલાપુર, સાંગલી, કોલ્હાપુર, સિંધુદુર્ગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય મુંબઈ, રાયગઢ, થાણે, રત્નાગીરી, પુણે, સતારા, અહમદનગર, બીડ, ઉસ્માનાબાદ, લાતુર, પરભણી, હિંગોલી, નાંદેડ, ધુલે, નંદુરબાર જેવા અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બીજી બાજુ મહારાષ્ટ્રના મંજારા ડેમને અડીને આવેલા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધ્યા બાદ પાણીના નિકાલ માટે અધિકારીઓએ ડેમના તમામ 18 દરવાજા ખોલ્યા હતા, જેના કારણે બીડ જિલ્લાના કેટલાક ગામોમાં પૂરનું જોખમ વધી ગયું છે, જ્યારે આજુ બાજુના કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Maharashtra: મંજારા ડેમના 18 દરવાજા ખોલાયા, બીડ જિલ્લાના ગામોમાં વધ્યુ પૂરનું જોખમ, વહીવટીતંત્રએ જાહેર કર્યુ એલર્ટ