મહારાષ્ટ્ર(Maharashtra Political Crisis)માં સત્તારૂઢ શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનનની નાવ ડૂબતી જોઈને કોંગ્રેસ અને NCPના મંત્રીઓ દ્વારા નિયંત્રિત વિભાગો દ્વારા છેલ્લા ચાર દિવસમાં હજારો કરોડના સરકારી આદેશો (GRs) જાહેર કરવામાં આવ્યા છે. તમામ ઓર્ડર સરકારની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જૂન 20 અને 23 ની વચ્ચે, વિભાગોએ 182 સરકારી આદેશો જાહેર કર્યા, જ્યારે 17 જૂને તેઓએ આવા 107 GR પસાર કર્યા. જીઆર વાસ્તવમાં ફરજિયાત મંજૂરીનો આદેશ છે જે વિકાસલક્ષી કામો માટે તિજોરીમાંથી મૂડી મુક્ત કરવાની મંજૂરી આપે છે.
MVA સરકારના ઘટક દળ શિવસેનાના વરિષ્ઠ મંત્રી એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો સાથે આસામમાં ડેરો નાખીને બેઠા છે. શિંદેનો બળવો 21 જૂનના રોજ સામે આવ્યો હતો, પરંતુ શિવસેનાના સાથી પક્ષો NCP અને કોંગ્રેસને તેની પહેલાથી જ ખબર પડી ગઈ હતી, ત્યારબાદ આ પક્ષોએ જાણે તેમના વિભાગોમાં GR જાહેર કરવાની સ્પર્ધા લાગી હતી.
શિવસેનાના ગુલાબરાવ પાટીલના પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગે 17 જૂનના રોજ 84 થી વધુ જીઆર જાહેર કર્યા હતા. આમાંના મોટાભાગના આદેશો ભંડોળની મંજૂરી, વહીવટી મંજૂરીઓ અને વિવિધ પાણી પુરવઠા યોજનાઓ પર કામ કરતા કર્મચારીઓના પગારને લગતા હતા. માહિતી અનુસાર, 20 થી 23 જૂન વચ્ચે સોમવારે સૌથી ઓછા 28 ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હતા. બીજા દિવસે, 21 જૂને 66, 22 અને 23 જૂને 44 અને 43 ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંથી 70 ટકાથી વધુ એનસીપી અને કોંગ્રેસ દ્વારા નિયંત્રિત વિભાગો દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.
NCPના હાથમાં સામાજિક ન્યાય, જળ સંસાધન, કૌશલ્ય વિકાસ, હાઉસિંગ ડેવલપમેન્ટ, નાણા અને ગૃહ જેવા વિભાગોએ મહત્તમ GR જાહેર કર્યા છે. કોંગ્રેસે તેના નિયંત્રણ હેઠળના વિભાગો, આદિજાતિ વિકાસ, મહેસૂલ, PWD, શાળા શિક્ષણ, OBC અને મત્સ્યઉદ્યોગ વગેરેના GR બહાર પાડ્યા છે.
ભાજપના નેતા પ્રવીણ દરેકરે શુક્રવારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને જીઆર જાહેર કરવાની રેસને સમાપ્ત કરવા વિનંતી કરી હતી. રાજ્યપાલને લખેલા પત્રમાં દરેકરે લખ્યું છે કે, “છેલ્લા 48 કલાકમાં એમવીએ સરકારે 160 જીઆર જાહેર કર્યા છે, તે શંકાસ્પદ લાગે છે.
મુંબઈ શિવસેનાનો ગઢ ગણાતા કોંકણના રત્નાગીરી-સિંધુદુર્ગ જિલ્લા સિવાય બાકીના મહારાષ્ટ્રમાંથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પગ નીચેથી રાજકીય જમીન સરકી ગઈ છે. કોંકણ ઉપરાંત પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડામાં ઉદ્ધવ પાસે માત્ર થોડા ધારાસભ્યો જ બચ્યા છે. ત્યારે મુંબઈના પાંચ ધારાસભ્યોએ બળવાખોર વલણ અપનાવીને ઉદ્ધવની મુશ્કેલી વધારી દીધી છે.
કોંકણના રાયગઢ જિલ્લાના ત્રણેય ધારાસભ્યો, મહેન્દ્ર દળવી (અલીબાગ), ભરત ગોગાવલે (મહાડ) અને મહેન્દ્ર થોરવે (કર્જત) બળવાખોર જૂથ સાથે ગુવાહાટીમાં ધામા નાખ્યા છે. જેના કારણે રાયગઢ જિલ્લામાં શિવસેનાની દિવાલોમાં તિરાડ પડવા લાગી છે. ત્યારે રત્નાગિરી-સિંધુદુર્ગ જિલ્લાના સાત ધારાસભ્યોમાંથી દીપક કેસરકર અને યોગેશ કદમ બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે સાથે છે.
મુંબઈને અડીને આવેલા થાણે અને પાલઘર જિલ્લાના શિવસેનાના ધારાસભ્યો સુરત થઈને ગુવાહાટી પહોંચી ચૂક્યા છે. મુંબઈમાં શિવસેનાનું વર્ચસ્વ છે, છતાં શહેરના 13 ધારાસભ્યોમાંથી પાંચ, પ્રકાશ સુર્વે (મગાથાણે), યામિના જાધવ (ભાયખલા), મંગેશ કુડાલકર (કુર્લા), સદા સરવણકર (માહિમ) અને દિલીપ લાંડે (ચંદીવલી) શિંદે જૂથમાં જોડાયા છે.
પશ્ચિમ મહારાષ્ટ્રમાં પણ એકનાથ શિંદેના જૂથનો દબદબો છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર, સતારા, સાંગલી અને સોલાપુર જિલ્લામાં શિવસેનાના પાંચ ધારાસભ્યો છે અને બધા બળવાખોર બની ગયા છે. સતારા જિલ્લામાંથી શંભુરાજ દેસાઈ (પાટણ) અને મહેશ શિંદે (કોરેગાંવ), સાંગલીના અનિલ બાબર (ખાનાપુર)એ બળવાનો ઝંડો ઉઠાવ્યો છે.
શિવસેનાના નેતા એકનાથ શિંદેનો બળવો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હિટ બન્યો છે. આ સમયે ઘણા દેશોના લોકો ઇન્ટરનેટ પર તેમના વિશે સૌથી વધુ માહિતી શોધી રહ્યા છે. શિંદે 33 દેશોમાં છેલ્લા ત્રણ દિવસમાં ગૂગલ સર્ચ પર ટોચના પાંચ નેતાઓમાંના એક છે.
પાકિસ્તાન અને સાઉદી અરેબિયામાં સ્થિતિ એવી છે કે 50 ટકાથી વધુ યુઝર્સ એકલા શિંદે વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે તેઓ ત્યાં ટોપ ટ્રેન્ડ બની ગયા છે. પાકિસ્તાનમાં તો છેલ્લા ત્રણ દિવસથી શિંદે જ છવાયેલા છે. આ સિવાય થાઈલેન્ડ, કેનેડા, નેપાળ, મલેશિયા, બાંગ્લાદેશ અને જાપાન જેવા દેશો પણ બળવાખોર નેતામાં રસ દાખવી રહ્યા છે.
Published On - 7:01 am, Sat, 25 June 22