મોલમાં મળશે વાઈન : મહારાષ્ટ્ર સરકારના નિર્ણય બાદ BJP આકરા પાણીએ, સંજય રાઉતે આપ્યો આ જવાબ

સંજય રાઉતે કહ્યુ, 'વાઇનરી ઉદ્યોગ મોટાભાગે દ્રાક્ષ, ચીકુ, જામફળ પર નિર્ભર છે. ખેડૂતો જે ફળો ઉગાડે છે, તેમાંથી વાઇન બનાવવામાં આવે છે. ખેડૂતોના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યા છે.

મોલમાં મળશે વાઈન : મહારાષ્ટ્ર સરકારના નિર્ણય બાદ BJP આકરા પાણીએ, સંજય રાઉતે આપ્યો આ જવાબ
Now wine available in supermarket sanjay raut respond on bjp
| Edited By: | Updated on: Jan 28, 2022 | 1:18 PM

Maharashtra : રાજ્ય સરકાર દ્વારા મોલ, સુપરમાર્કેટ (Supermarket) અને કરિયાણાની દુકાનોમાં વાઇન વેચવા માટે પરવાનગી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ માટે શરત એ છે કે દુકાનનું કદ એક હજાર ચોરસ ફૂટથી વધુ હોવુ જોઈએ. મહારાષ્ટ્ર સરકારના (Maharashtra Government) આ નિર્ણયનો હાલ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વાઈન મુદે રાજકારણ…!

ભાજપ તરફથી કહેવામા આવી રહ્યુ છે કે, સરકાર પેટ્રોલ અને ડીઝલ સસ્તુ કરવાને બદલે વાઈનના વેચાણ માટે સુવિધા આપી રહી છે.ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજ્ય સરકારે ચંદ્રપુર જિલ્લામાં દારૂબંધી હટાવી લીધી હતી. તેના પરનો વિરોધ પણ હજુ શાંત થયો ન હતો કે હવે મોલ, સુપર માર્કેટ અને કરિયાણાની દુકાનોમાં વાઈનના વેચાણને મંજૂરી આપતા હાલ વિવાદ વધુ વણસ્યો છે.

ભાજપે રાજ્ય સરકાર પર કર્યા આકરા પ્રહાર

ભાજપનુ કહેવુ છે કે, દારૂના વેચાણમાંથી આવક વધારવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર ખેડૂતોને ફાયદો થાય તે માટે આ નિર્ણય લીધો હોવાનુ જણાવી રહી છે. NCPના પ્રવક્તા અને મંત્રી નવાબ મલિકે (Nawab Malik)  આ મામલે કહ્યુ હતુ કે, ‘વાઇનરી ખેડૂતોના ફળ ઉત્પાદન પર કામ કરે છે. જેથી આ બહુ મહત્ત્વનો નિર્ણય છે.

આ નિર્ણયનો વિરોધ કરતાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે (devendra fadanvis) કહ્યુ કે આ મહારાષ્ટ્ર છે કે મદ્ય રાષ્ટ્ર ? કોરોનાના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે ખેડૂતો અને ગરીબો માટે એક પણ મદદની જાહેરાત કરી નથી. તેઓ માત્ર દારૂની જ ચિંતા કરે છે. પેટ્રોલ અને ડીઝલ મોંઘા અને દારૂ સસ્તો થઈ રહ્યો છે. નવાબ મલિકને આ નિર્ણયની જાહેરાત કરવાની જવાબદારી આપવા પાછળનું કારણ શું છે ?

સંજય રાઉતે ભાજપના વિરોધને ખેડૂતો સાથેની દુશ્મનાવટ ગણાવી

શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપના વિરોધને ખોટો ગણાવ્યો છે. તેમણે આ વિરોધને ખેડૂતો સાથેની દુશ્મનાવટ ગણાવતા કહ્યુ કે, વાઈનરી ઉદ્યોગ મોટાભાગે દ્રાક્ષ, ચીકુ, જામફળ પર નિર્ભર છે. ખેડૂતો જે ફળો ઉગાડે છે તેમાંથી વાઇન બનાવવામાં આવે છે. ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોના હિત માટે સાહસિક નિર્ણયો લેવા પડશે. જે લોકો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે તેઓ ખેડૂતોના દુશ્મન છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને આપ્યો ઝટકો, ભાજપના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન કરાયુ રદ