સામાન્ય રીતે આપણે જયારે પણ કોઈને ફોન(Phone ) કરીએ ત્યારે મોંઢામાંથી સૌથી પહેલો શબ્દ “હેલો”(Hello ) નીકળે છે. પરંતુ હવે મહારાષ્ટ્ર્ની(Maharashtra ) શિંદે સરકારે આ ચીલો બદલવાનો પ્રયત્ન કર્યો છે. હવે નો હેલો, ના કોઈ બીજો શબ્દ – ‘વંદે માતરમ’ કહીને હવેથી સરકારી કચેરીઓમાં કામ કરવાનું શરૂ કરો!’ આ જાહેરાત કરી છે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી સુધીર મુનગંટીવારે. વિભાગનો હવાલો મળતા જ તેઓએ આ જાહેરાત કરી છે. તેમણે ફક્ત જાહેરાત જ નથી કરી પરંતુ તેનો તાત્કાલિક અમલ કરવાની સૂચના પણ આપી છે. આ રીતે આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર હવેથી મહારાષ્ટ્રની તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ ફોન પર હવેથી વંદે માતરમથી પોતાની વાત શરૂ કરશે. હવે હેલો કહેવાને બદલે વંદે માતરમ બોલવું જરૂરી બનશે. ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર આદેશ પણ જાહેર કરવામાં આવશે.
રવિવારે મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારમાં મંત્રી હોવાને કારણે તેમને વન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને મત્સ્યોદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યાની જાહેરાત થતાં જ તેમણે તરત જ તેમના મંત્રાલયના કામકાજની તૈયારી શરૂ કરી દીધી અને પહેલો નિર્ણય લીધો.તેઓએ કહ્યું છે કે હવેથી હેલો-વેલો બંધ, ઉત્સાહથી વંદે માતરમ બોલો.
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આની જાહેરાત કરતા સુધીર મુનગંટીવારે પોતાના નિર્ણયની તરફેણમાં કહ્યું કે ‘હેલો’ વિદેશી શબ્દ છે. હવે તેને અલવિદા કહી દેવાની જરૂર છે.વંદે માતરમ માત્ર એક શબ્દ નથી પરંતુ તે દરેક ભારતીયની ભાવના છે. વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત છે. 1875માં બંકિમ ચંદ્ર ચેટર્જી દ્વારા લખાયેલું આ ગીત તે સમયના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપતું હતું. ‘હે માતા, હું તને નમન કરું છું’ આ લાગણી વ્યક્ત કરીને બંકિમચંદ્રે લોકોના મનમાં દેશભક્તિની ચેતના ફેલાવી.
સુધીર મુનગંટીવારે વધુમાં કહ્યું હતું કે, ‘જો તમે આ રચનાના દરેક શબ્દ ભાવનાથી ઉચ્ચારો છો તો નસ-નસમાં દેશભક્તિની લાગણી જાગે છે. ભારતની આઝાદીના અમૃત ઉત્સવમાં આપણે હવેથી સરકારી કચેરીઓમાં વંદે માતરમ બોલીને આ વિદેશી શબ્દ ‘હેલો’ને ભૂલીને આપણી વાતની શરૂઆત વંદે માતરમથી કરીશું. 1800માં જ્યારે ટેલિફોન અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આપણે આપણી વાત હેલો શબ્દથી શરૂ કરવા આવ્યા છીએ. પરંતુ હવે હેલોને બદલે વંદે માતરમ બોલીને વાતચીત શરૂ કરવામાં આવશે.’ મુનગંટીવારે કહ્યું કે આ નિર્ણય અંગે સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા ટૂંક સમયમાં સરકારી આદેશ જારી કરવામાં આવશે.