અમરાવતી હત્યાકાંડમાં (Amravati Murder Case) મોટો ખુલાસો થયો છે. કેમિસ્ટ ઉમેશ કોલ્હેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર ઈજા હોવાનું બહાર આવ્યું છે. ઉમેશ કોલ્હેના શરીરમાં 7 ઈંચ પહોળો અને 5 ઈંચ ઊંડો ઘા મળી આવ્યો છે. આ સાથે તેની અન્ન નળી અને મગજની નસ પણ કપાયેલી જોવા મળી છે. છરી વડે હુમલામાં તેની શ્વાસની નળી અને આંખની નસને પણ નુકસાન થયું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. જેના કારણે તેનું મોત થયું હતું. અમરાવતીના શ્યામ ચોક વિસ્તારમાં ઘંટાઘર પાસે 21 જૂનની રાત્રે કેમિસ્ટ ઉમેશની છરી વડે હત્યા કરવામાં આવી હતી.
રાત્રે સાડા દસ વાગ્યાના આસપાસ ઉમેશ તેની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન બાઇક પર સવાર લોકોએ તેનું ગળું કાપી નાખ્યું હતું. હોસ્પિટલમાં લાવવામાં આવતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે સ્વીકાર્યું છે કે કેમિસ્ટ ઉમેશને નૂપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ લગાવવા બદલ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યાની તર્જ પર અમરાવતીના ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં માસ્ટર માઈન્ડ સહિત 7 લોકોની ધરપકડ કરી છે. શનિવારે રાત્રે પોલીસે ઈરફાન ખાન નામના સાતમા આરોપીની ધરપકડ કરી હતી. મુદાસિર અહેમદ (22), શાહરૂખ પઠાણ (25), અબ્દુલ તૌફીક (24) શોએબ ખાન (22) અને અતીબ રાશીદ (22), જેમની પોલીસે કેમિસ્ટની હત્યા કેસમાં ધરપકડ કરી છે, તે તમામ દૈનિક વેતન મજૂર છે.
સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના એક અધિકારીનું કહેવું છે કે માસ્ટરમાઇન્ડ ઈરફાન ખાને આ પાંચ લોકોને 10 હજાર રૂપિયા આપવાનું વચન આપીને ઉમેશની હત્યા કરાવી હતી. ઈરફાને આ લોકોને કારમાં સુરક્ષિત રીતે ભાગી જવા માટે મદદ કરવાનું વચન પણ આપ્યું હતું. પરંતુ આ તમામ આરોપીઓ હવે પોલીસની કસ્ટડીમાં છે. અમરાવતીમાં દવાની દુકાન ચલાવતા ઉમેશ કોલ્હેએ કથિત રીતે નુપુર શર્માના સમર્થનમાં કેટલાક વોટ્સએપ ગ્રુપમાં એક પોસ્ટ શેર કરી હતી. ઉમેશે ભૂલથી આ પોસ્ટ એક વોટ્સએપ ગ્રુપમાં મોકલી હતી જેમાં અન્ય સમુદાયના સભ્યો પણ હતા. અધિકારીના જણાવ્યા અનુસાર ઈરફાને કથિત રીતે ઉમેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ઉમેશના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી જગ્યાએ ઈજાઓ હોવાનું સામે આવ્યું છે.
Published On - 5:20 pm, Sun, 3 July 22