Maharashtra: શિવસેના સાંસદ ભાવના ગવલી પછી પરિવહન મંત્રીનો વારો, અનિલ પરબના 3 ઠેકાણાં પર EDના દરોડા
ઈડી એ મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને શિવસેનાના નેતા અનિલ પરબની 3 મિલકતો પર દરોડા પાડ્યા છે. પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે મની લોન્ડરિંગના આરોપને કારણે અનિલ પરબની મિલકતો પર દરોડા પાડવામાં આવ્યા છે. તેમને મંગળવારે સવારે 11 વાગ્યે ED કાર્યાલયમાં પણ બોલાવવામાં આવ્યા છે.
શિવસેના સાંસદ ભાવના ગવલીના 5 ઠેકાણાં પર આજે (સોમવાર, 30 ઓગસ્ટ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડીની (Enforcement Directorate-ED ) દરોડા પાડવાની ઘટનાઓ તાજી જ હતી કે હવે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને શિવસેનાના નેતા અનિલ પરબ (Anil Parab, Minister of Transport) ની કેટલીક સંપત્તિઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. અનિલ પરબના ત્રણ ઠેકાણાં પર મની લોન્ડરિંગ કેસમાં રેડ પાડવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે.
પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) સામેના મની લોન્ડરિંગના આરોપ સાથે સંબંધિત હોવાના કારણે ઇડીએ અનિલ પરબની ત્રણ મિલકતો પર દરોડા પાડ્યા છે. ગઈકાલે ED એ અનિલ પરબને નોટિસ મોકલી હતી. આ નોટિસ હેઠળ અનિલ પરબને પૂછપરછ માટે મંગળવારે સવારે 11 વાગ્યે ઇડી ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. આ નોટિસ બાદ શિવસેના તરફથી કેન્દ્ર સરકાર પર ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
ઈડી (ED) એ આજે રાજ્યભરમાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા
નાગપુરના RTO અધિકારી બજરંગ ખરમાટેના ઠેકાણા પર પણ ED દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યા હતા. શિવસેના સાંસદ ભાવના ગવલીના પાંચ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ તેમના પર 100 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો છે. કિરીટ સોમૈયાના જણાવ્યા મુજબ 55 કરોડની કિંમતની કંપની ભાવના ગવલીએ 25 લાખ રૂપિયામાં લીધી છે.
ત્યારે પરબે રાણેની ધરપકડ કરાવી, હવે ઇડી પરબની મહેમાનગતી કરી રહી છે
અનિલ પરબ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ માટે રત્નાગીરી પોલીસને સૂચના આપી રહ્યા હતા. રત્નાગિરીના સંરક્ષક મંત્રી હોવાને કારણે, તેમની હરકત ટીવી9 ના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. પોલીસને સૂચના આપવા માટે પરબે પોતાના હોદ્દાનો ઉપયોગ કર્યો હતો. આ કારણે ઘણો વિવાદ પણ થયો હતો.
આ પછી ગઈકાલે (રવિવારે) ED એ તેમને સમન્સ પાઠવ્યું અને મંગળવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું. કહેવામાં આવી રહ્યું છે કે 100 કરોડના રિકવરી કેસમાં સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજે દ્વારા એનઆઈએ કસ્ટડીમાંથી લખેલા પત્રના આધારે અનિલ પરબને સમન્સ મોકલવામાં આવ્યા છે. પરંતુ આ સમન્સના ટાઈમિંગને કારણે રાજકીય ક્ષેત્રમાં ચર્ચાઓનું બજાર ગરમ છે.
આ દરમિયાન, અનિલ પરબ આ ઘટનાઓ પછી સૌ પ્રથમ સામના ઓફિસમાં સંજય રાઉતને મળવા ગયા હતા. અને ત્યારબાદ તેઓ એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલને પણ મળવા માટે મંત્રાલય ગયા હતા. આ બેઠક બાદ જયંત પાટિલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા પણ આપી હતી કે ઇડીનો ઉપયોગ કરીને સરકારને બદનામ કરવા માટે મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ પક્ષોના નેતાઓ સામે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
સંજય રાઉતે કહ્યું કે તમે ગમે તેટલું માથું પટકો, મહા વિકાસ આઘાડી સરકારની દિવાલ મજબૂત છે, તે પડવાની નથી. જ્યારે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ 11 નામોની યાદી બહાર પાડી છે અને તેમના પર ભ્રષ્ટાચારને લગતા અલગ અલગ કેસોમાં કાર્યવાહી કરવાની માગ કરીને ઠાકરે સરકારનું ટેન્શન વધારી દીધું છે.
આ પણ વાંચો : Maharashtra: શિવસેના સાંસદ ભાવના ગવળીનાં પાંચ સ્થાન પર EDના દરોડા, ભાજપ સાંસદ કિરીટ સોમૈયાનાં આક્ષેપ બાદ કાર્યવાહી