આજે સાંજે 7 વાગે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન પદના શપથ લેશે. શિવસેનાના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના (Maharashtra Political Crisis) પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના (Devendra Fadanvis) ઘરે પહોંચ્યા છે. વિદ્રોહ બાદ એકનાથ શિંદે (Eknath Shinde) પહેલીવાર મુંબઈ પહોંચ્યા છે. તેઓ થોડી જ વારમાં રાજ્યપાલને પણ મળશે. એકનાથ શિંદે આજે ગોવાથી મુંબઈ પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓ દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચ્યા હતા. માનવામાં આવે છે કે બંને નેતા રાજભવન જશે અને રાજ્યપાલને મળશે.
અત્યાર સુધીની માહિતી મુજબ આજે માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જ શપથ લેશે. આ પછી એકથી બે દિવસમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરીને તેમની શપથવિધિ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજભવનમાં માત્ર પાંચ ખુરશીઓ જ લગાવવામાં આવી છે. એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ શપથ ગ્રહણ માટે થોડી જ વારમાં રાજભવન પહોંચી શકે છે.
એક તરફ એકનાથ શિંદે ફડણવીસના નિવાસસ્થાને પહોંચી ગયા છે, તો બીજી તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોએ આજે મુંબઈમાં માતોશ્રી પહોંચ્યા બાદ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાત્રે સોશિયલ મીડિયા પર પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેના રાજીનામાથી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે તે લગભગ નિશ્ચિત છે. સમાચાર અનુસાર, શિંદે કેમ્પના સમર્થનથી બની રહેલી નવી સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત સીએમ પદ સંભાળશે. ભાજપના 6 અને શિંદે કેમ્પના 6 ધારાસભ્યોને નવી કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
મહારાષ્ટ્રમાં એકવાર સત્તાપલટો થયો છે. ઉદ્ધવ ઠાકરેના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું બાદ હવે રાજ્યને ફરીથી નવા મુખ્યપ્રધાન મળવા જઈ રહ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં 5 વર્ષ સુધી મુખ્યપ્રધાનનો કાર્યકાળ પૂરો ન કરવો એ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ ઘણા એવા મુખ્યપ્રધાનો છે જેમણે પોતાનો કાર્યકાળ પૂરો નથી કર્યો. તમને જાણીને નવાઈ લાગશે કે 1960થી લઈને અત્યાર સુધી માત્ર બે જ એવા નેતા રહ્યા છે, જેમણે મુખ્યપ્રધાન તરીકે પોતાના કાર્યકાળના 5 વર્ષ પૂરા કર્યા છે.
જો કે રાજ્યને મહારાષ્ટ્રના ઘણા મુખ્યપ્રધાનો મળ્યા, પરંતુ આ બે નેતાઓ સિવાય કોઈ નેતા 5 વર્ષ પૂરા કરી શક્યા નથી. આમાં એક નામ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું, જેઓ ફરી એકવાર મુખ્ય પ્રધાન બનવાની તૈયારીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફડણવીસ ફરી એકવાર રાજ્યના મુખ્યપ્રધાન બની શકે છે અને જોવાનું રહેશે કે તેઓ કેટલા દિવસ સુધી રાજ્યની કમાન સંભાળે છે.
Published On - 3:47 pm, Thu, 30 June 22