મહારાષ્ટ્રમાં માવઠાની મોકાણ, 2 લાખ હેક્ટરની ખેતીને થયુ નુક્સાન, ખેડૂતો પરેશાન

ઘઉં, કપાસ, જુવાર, કેળા, પપૈયા, ડુંગળી, તુવેરનો પાક નાશ પામ્યો છે. ફરી એકવાર હવામાન વિભાગ (IMD)એ યલો એલર્ટ જાહેર કરીને ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

મહારાષ્ટ્રમાં માવઠાની મોકાણ, 2 લાખ હેક્ટરની ખેતીને થયુ નુક્સાન, ખેડૂતો પરેશાન
કમોસમી વરસાદને કારણે મહારાષ્ટ્રના ખેડૂતોને ઘણું નુકસાન થયું
| Edited By: | Updated on: Jan 12, 2022 | 11:02 PM

મહારાષ્ટ્ર (Maharashtra)માં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં (Weather) પલટો જોવા મળી રહ્યો છે. વિદર્ભ અને મરાઠવાડા જેવા ભાગોમાં કમોસમી વરસાદનો કહેર શરૂ છે. બાકીના ભાગોમાં કુદરતનું શીત યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ વખતે મુંબઈમાં પણ ગરમ વસ્ત્રો પહેરવાનો વારો આવ્યો છે. કોરોનાની અરાજકતા તેના સ્થાને છે. આ ત્રણેય બાજુઓના મારથી સૌથી વધારે ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદથી લગભગ બે લાખ હેક્ટરમાં થયેલ વાવેતર લગભગ નાશ પામ્યું છે.

ધુલે જિલ્લાના સિંદખેડ, શિરપુર, જલગાંવ જિલ્લાના ચોપડા, અમરાવતી જિલ્લાના ભાટકુલી, તિવાસા, મોરશી, ચંદુરબજારમાં ખેતી સંપૂર્ણપણે બગડી ગઈ છે. તેવી જ રીતે વર્ધા જિલ્લાના અરવી, આષ્ટી, કારંજા, ગોંદિયા જિલ્લાના તિરોડા, આમગાંવમાં 25 હજાર હેક્ટરનો પાક કરાથી નાશ પામ્યો છે.

ઘઉં, કપાસ, જુવાર, કેળા, પપૈયા, ડુંગળી, તુવેરનો પાક નાશ પામ્યો છે. ફરી એકવાર હવામાન વિભાગ (IMD)એ યલો એલર્ટ જાહેર કરીને ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગના નાગપુર હવામાન કેન્દ્રે નાગપુર, વર્ધા, ચંદ્રપુર, યવતમાલ, ગોંદિયા, ભંડારા અને ગઢચિરોલી જિલ્લામાં ગુરુવાર સુધી વધુ વરસાદની આગાહી કરી છે. ખેડૂતો હેરાન અને પરેશાન છે, કુદરત શું કસોટી લઈ રહી છે તે ખબર નથી.

ડિસેમ્બરમાં પણ કુદરતના કહેરથી ખેડૂતોની કમર તૂટી ગઈ હતી

અગાઉ 28 અને 29 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદ અને કરા પડતાં અહેમદનગર, ઔરંગાબાદ, ધુલે, જાલના, અમરાવતી, અકોલા, બુલદાના, વાશિમ, યવતમાલ, ગોંદિયા, નાગપુર, ગઢચિરોલી, ચંદ્રપુર જિલ્લામાં 60 હજાર હેક્ટરની ખેતી ખરાબ થઈ ગઈ હતી. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદને કારણે પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, નાસિક, જલગાંવ, નંદુરબાર, અહેમદનગર, પૂણે, સાંગલી, સતારા, કોલ્હાપુર, બીડ, લાતુર જિલ્લામાં 1 લાખ 40 હજાર હેક્ટરના પાકને નુકસાન થયું હતું.

નુકસાનના પંચનામાની કાર્યવાહી ચાલુ, ત્યાં સુધી ખેડૂતે શું કરવું ભાઈ!

હાલમાં રાજ્ય સરકાર દ્વારા ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં તમામ સ્થળોએ પંચનામા કરવા આદેશો આપવામાં આવ્યા છે. પંચનામા પૂર્ણ થયા બાદ જ નુકસાનનો ચોક્કસ અંદાજ આવી શકશે. પરંતુ ત્યાં સુધી ખેડૂતોની તૂટેલી કમર કોણ સીધી કરશે? ક્યાં સુધી ખેડૂત કોઈની મદદ વગર કુદરતના પ્રકોપ સામે લડશે? પરંતુ અહીં ખેડૂતોનું કોણ સાંભળશે? હાલમાં તમામ પક્ષોનું ધ્યાન અન્ય પાંચ રાજ્યો પર કેન્દ્રીત છે, કારણ કે હાલમાં ત્યાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે.

આ પણ વાંચો :  Maharashtra Corona New Rules: ‘હવે લક્ષણ નહીં તો ટેસ્ટ નહીં’, મુંબઈના સંરક્ષક મંત્રીએ જણાવ્યા મહારાષ્ટ્રમાં કોરોનાના નવા નિયમો