હવે 48 કલાકમાં કોરોના વાયરસનો (Coronavirus) ખાત્મો થઈ જશે. મુંબઈ સ્થિત એક કંપનીએ એક જબરદસ્ત નેઝલ સ્પ્રે (Nasal Spray) વિકસાવ્યું છે. આ એન્ટી કોવિડ સ્પ્રેનું પરીક્ષણ રસી લીધેલા અને ન લીધેલા 306 વૃદ્ધો પર કરવામાં આવ્યું હતું. અપેક્ષા મુજબ પરિણામ આવ્યું અને આ સ્પ્રે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું. મુંબઈ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ગ્લેનમાર્કે કેનેડિયન કંપની સેનોટાઈઝ સાથે મળીને આ નેઝલ સ્પ્રે તૈયાર કર્યું છે. નાકમાં આ સ્પ્રે માર્યા પછી, 24 કલાકની અંદર કોરોના દર્દીઓ પરનો વાયરલ ભાર 94 ટકા ઓછો થતો જોવા મળ્યો હતો. 48 કલાકમાં કોરોના વાયરસની અસર 99 ટકાથી ઓછી થઈ. આ સ્પ્રેના ત્રીજા તબક્કાનો અહેવાલ ધ લેન્સેટ રિજનલ હેલ્થ સાઉથઈસ્ટ એશિયા જર્નલમાં પ્રકાશિત થયો છે.
આ નેઝલ સ્પ્રેનું સંશોધન અને પરીક્ષણ મુંબઈ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ગ્લેનમાર્ક દ્વારા કરવામાં આવ્યું છે. આ રીતે, મુંબઈ સ્થિત આ કંપનીએ દેશનો પ્રથમ એન્ટી-કોરોના નેઝલ સ્પ્રે લોન્ચ કરવાનો શ્રેય મેળવ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં આ સ્પ્રે શરૂ કરવા માટે સરકાર પાસેથી મંજૂરી લેવામાં આવી હતી. આ પછી હવે આ સ્પ્રે શરૂ કરવામાં આવી છે.
ટ્રાયલ દરમિયાન, કોરોના દર્દીઓના નાકમાં આ સ્પ્રે મારવાથી સારવારના સાત દિવસ દરમિયાન તેની અસરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દરેક દર્દીને દિવસમાં બે વખત આ સ્પ્રે કરવામાં આવ્યો હતો. પરિણામે, એવું જાણવા મળ્યું કે 94 ટકા વાયરસ 24 કલાકમાં અને 99 ટકા 48 કલાકમાં ખતમ થઈ ગયો.
આ સ્પ્રેની અસર ત્યારે માપવામાં આવી રહી હતી જ્યારે દેશમાં ડેલ્ટા અને ઓમિક્રોનના ઘણા કેસો સામે આવી રહ્યા હતા. સંશોધકોએ શોધી કાઢ્યું કે ઉચ્ચ જોખમ ધરાવતા દર્દીઓમાં 24 કલાકની અંદર વાયરલ લોડમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
ભારતમાં તેની 25 mlની બોટલની કિંમત 850 રૂપિયા હશે. કંપનીનો દાવો છે કે ભારતમાં તેની કિંમત અન્ય સ્થળો કરતા ઘણી ઓછી છે. આ સ્પ્રે એક અઠવાડિયામાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ દાવો ગ્લેનમાર્ક કંપની દ્વારા કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. સરકાર પણ કેસ વધતા રોકવા માટે સાવચેતીના તમામ પગલાં લઈ રહી છે. આ અંતર્ગત વિનામુલ્યે બુસ્ટર ડોઝ આપવાના શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આ પ્રકારનો નેઝલ સ્પ્રે વયસ્કો માટે ચોકક્સપણે રાહત સાબિત થાય તો નવાઈ નહી!