કોરોના (Corona)ની ત્રીજી લહેરનો ખતરો હજુ ટળ્યો નથી. ખાસ કરીને તહેવારોની સિઝનને કારણે કોરોના ચેપ (કોવિડ -19)નું જોખમ વધ્યું છે. બે સપ્તાહ પહેલા મહારાષ્ટ્રમાં સમાપ્ત થયેલા ગણેશ ઉત્સવ પછી આર્થિક રાજધાની મુંબઈમાંથી કોરોનાના ડરામણા આંકડા બહાર આવી રહ્યા છે.
બુધવારે મુંબઈમાંથી કોરોનાના 624 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 84 દિવસમાં આ સૌથી મોટો આંકડો છે. છેલ્લી વખત જુલાઈમાં એક દિવસમાં 600થી વધુ દર્દીઓ મળી આવ્યા હતા. 14 જુલાઈએ આ આંકડો 619 હતો. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા BMCએ કહ્યું હતું કે તેઓને તહેવારને કારણે મુંબઈમાં કેસ વધવાનો ડર છે.
મુંબઈમાં બુધવારે કોરોનાને કારણે 7 લોકોના મોત પણ થયા હતા. આ સાથે અહીં વાઈરસથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 16,136 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી અહીં કોરોનાના કુલ 7,46,703 કેસ નોંધાયા છે. અહીં કોરોનામાંથી સાજા થનારા દર્દીઓનો દર 96% છે, જ્યારે મૃત્યુ દર 2.16% છે. હાલમાં, મુંબઈમાં સક્રિય દર્દીઓની સંખ્યા 5,451 છે. જ્યારે પોઝીટીવીટી રેટ 1.5 ટકા છે.
બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના 2,876 નવા કેસ નોંધાયા અને 90 દર્દીઓના મોત થયા. રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી. મહારાષ્ટ્રમાં કોવિડ -19ના નવા કેસોમાં થોડો વધારો થયો છે, જ્યારે મંગળવારની તુલનામાં મૃતકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
મંગળવારે રાજ્યમાં ચેપના 2,401 નવા કેસ નોંધાયા હતા અને 39 દર્દીઓના મોત થયા હતા. અધિકારીએ કહ્યું કે નવા કેસો સાથે મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા વધીને 65,67,791 થઈ ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા વધીને 1,39,362 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 63,91,662 દર્દીઓ સ્વસ્થ બન્યા છે અને 33,181 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
સોમવારે BMCએ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે રસીકરણ અભિયાન સરળ રીતે આગળ વધી રહ્યું છે અને હવે રસીઓની કોઈ અછત નથી. બીએમસીએ કહ્યું કે આ મહામારીની ત્રીજી લહેર અત્યારે નથી આવી રહી, જોકે તેમણે એમ પણ કહ્યું કે કેસોમાં થનારા વધારાને નકારી શકાય નહીં. બીએમસીના મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ એક અખબાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “શહેરની સ્થિતિ અત્યારે ઘણી સારી છે.
અમે કેસ લોડને ખૂબ સારી રીતે હેન્ડલ કરી શકીએ છીએ અને કેસોને હેન્ડલ કરવા માટે પર્યાપ્ત આરોગ્ય માળખા છે. જો કે કોરોનાના વધતા જતા કેસોને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. કાકાણીએ સ્પષ્ટપણે કહ્યું કે BMC કોવિડ મહામારીની ત્રીજી લહેરને નકારી શકે તેવી સ્થિતિમાં નથી.
“અમે એ દાવો કરી શકતા નથી કે ત્રીજી લહેર નહીં આવે. અહેમદનગર જિલ્લામાં અને ઘણા ગામોમાં કેસ વધી રહ્યા છે. આપણે જાગ્રૃત રહેવું જોઈએ અને COVID-19ની ગાઈડલાઈનનું પાલન કરવાનું ચાલુ રાખવું જોઈએ અને રસીકરણ કરાવવું જોઈએ. કારણકે આ પગલાઓ કોરોનાના સંક્રમણને રોકી રહ્યા છે.
આ પણ વાંચો : Aryan Khan Drug Case: જે વ્યક્તિ કાયદો તોડશે તેને પકડવામાં આવશે – જાણો સમીર વાનખેડેએ કેમ આપ્યું આવુ નિવેદન
Published On - 7:33 pm, Thu, 7 October 21