બોલિવૂડના પ્રખ્યાત સિંગર કેકે (Singer KK Passed Away) ના નિધનથી તેમના ચાહકો સહિત આખો દેશ આઘાતમાં છે. કેકેના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. કેકેના મોતના મુદ્દે પશ્ચિમ બંગાળની મમતા સરકાર ઘેરાયેલી જોવા મળી રહી છે. કેકેના મૃત્યુ પર ભાજપ અને કોંગ્રેસ બંને સવાલો ઉઠાવી રહ્યા છે. હવે બીજેપી સાંસદ સૌમિત્ર ખાને (MP Saumitra Khan) ગૃહમંત્રી અમિત શાહને કેકેના મૃત્યુ કેસની તપાસ કરવાની માગ કરી છે. તેમણે પત્ર લખીને કહ્યું છે કે કેકેના મૃત્યુની તપાસ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવે.
સૌમિત્ર ખાને પત્રમાં કહ્યું છે કે સિંગર કેકે એક કોન્સર્ટ માટે કોલકાતા આવ્યા હતા. બીજેપી સાંસદે કહ્યું કે કેકે કાર્યક્રમમાં અસ્વસ્થતા અનુભવતા જોવા મળ્યા હતા. થોડા સમય પછી બધાને ખબર પડી કે કેકે હવે નથી. બીજેપી નેતા કહે છે કે આ ઘટનાને લઈને તેમના મનમાં અનેક શંકાઓ અને પ્રશ્નો છે. આ પ્રશ્નો તેમની સાથે સમગ્ર દેશના લોકોના મનમાં છે.
બીજેપી નેતાએ પૂછ્યું કે નઝરુલ મંચની ક્ષમતા 3000 લોકોની છે તો 7 હજાર લોકો ત્યાં કેવી રીતે પહોંચ્યા. સૌમિત્ર ખાને બીજો પ્રશ્ન પૂછ્યો કે શું સ્થળ પર કોઈ પોલીસકર્મી હાજર હતા કે નહીં. શું કોન્સર્ટના આયોજકે શો વિશે સંબંધિત ચોકીને જાણ કરી હતી? નઝરુલ મંચના કાર્યપાલક ઈજનેર દ્વારા રજૂ કરવામાં આવેલો રિપોર્ટ ક્યાં છે.
બીજેપી નેતાએ સવાલ કર્યો છે કે કેકેના પોસ્ટમોર્ટમ સમયે ટીએમસીના નેતાઓ હોસ્પિટલમાં શું કરી રહ્યા હતા. આ દરમિયાન સુભેન્દુ અધિકારી સહિત અન્ય લોકોને હોસ્પિટલમાં આવવાની કેમ ના પાડી? ઓડિટોરિયમમાં એસી ચાલતું ન હતું તો કાર્યક્રમની મંજુરી કોણે આપી. આ તમામ સવાલો ભાજપના નેતા સૌમિત્ર ખાને કેકેના મૃત્યુને લઈને ઉઠાવ્યા છે. સૌમિત્રા ખાને ગૃહમંત્રી અમિત શાહ પાસે માગ કરી છે કે આ તમામ સવાલોના જવાબ માટે આ મામલાની કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે, જેથી કેકેને ન્યાય મળી શકે.
જણાવી દઈએ કે 30 મેના રોજ કોલકાતામાં એક કોન્સર્ટ બાદ બોલિવૂડ સિંગર કેકેનું નિધન થયું હતું. તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, કેકેના હૃદયનું પમ્પિંગ બંધ થઈ ગયું હતું. તેના લક્ષણો પહેલાથી જ દેખાઈ રહ્યા હતા, પરંતુ તેઓ તેની અવગણના કરતા રહ્યા. આ મામલે મમતા સરકાર સવાલોના ઘેરામાં છે.