
ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગ્યો છે. આજે ઉદ્ધવ ઠાકરે જૂથના છ સાંસદ, એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાયા છે. ‘ઓપરેશન ટાઇગર’ હેઠળ હાથ ધરવામાં આવેલા આ પક્ષપલટાથી લોકસભામાં શિંદે જૂથની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે, જ્યારે ઉદ્ધવ છાવણીમાં સાંસદોની સંખ્યા ઘટીને માત્ર ત્રણની થઈ ગઈ છે. એકનાથ શિંદેએ આને ‘વાસ્તવિક શિવસેના’ હોવાથી ઉદ્ધવના સાંસદો તેમના પરિવારમાં પાછા ફર્યા હોવાનું જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને આજે 22મી જૂનને સોમવારે મોટો ફટકો પડ્યો. છ સાંસદ, 1 સંજય હરિભાઉ જાધવ, 2- ભાઉસાહેબ રાજારામ વાકચૌરે, 3- ઓમપ્રકાશ ભૂપાલસિંહ નિમ્બાલકર, 4 – સંજય દિના પાટિલ, 5- સંજય ઉત્તમરાવ દેશમુખ અને 6 – નાગેશ બાપુરાવ પાટિલ અષ્ટિકર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા હતા.
ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના શિવસેના (UBT) ના સાંસદોને શિંદે છાવણીમાં લાવવાના પગલાને ‘ઓપરેશન ટાઇગર’ નામ આપવામાં આવ્યું. લોકસભામાં શિંદેની શિવસેનાની સંખ્યા હવે સાતથી વધીને 13 થઈ ગઈ છે, જ્યારે શિવસેના (UBT) ના સાંસદોની સંખ્યા ઘટીને માત્ર 3 થઈ ગઈ છે.
શિંદેએ ઉમેર્યું, “શિવસેના એક પરિવાર છે. કટ્ટર શિવસૈનિક સાંસદો વાસ્તવિક શિવસેનાના પરિવારમાં જોડાયા છે. શિવસેના પરિવાર જે બાળાસાહેબના આદર્શોને સમર્થન આપે છે. હું તેમનું પક્ષમાં સ્વાગત કરું છું.” “આપણી વિચારધારાની લડાઈ છે,”
તેમણે કહ્યું કે, શિવસેનાની અંદર બળવો 22 જૂન, 2022 ના રોજ શરૂ થયો હતો, જેમાં શરૂઆતમાં 40 ધારાસભ્યો સામેલ હતા. ત્યારબાદ, ગતિ ‘ચોક્કા’ થી ‘છગ્ગા’ સુધી બદલાઈ ગઈ. ત્યારબાદ ‘છગ્ગા’નો ધસારો થયો. શિવસેના પાર્ટી, ‘ધનુષ્ય અને તીર’ પ્રતીક અને બાળાસાહેબની વિચારધારાને બચાવવા માટે પ્રારંભિક બળવો કરવામાં આવ્યો હતો. હવે, બીજો તબક્કો શરૂ થયો છે. અમારી લડાઈ બાળાસાહેબની વિચારધારા અને હિન્દુત્વના સિદ્ધાંતો માટે છે.
તેમણે જણાવ્યું હતું કે, એક અલગ જૂથ બનાવવામાં આવ્યું છે, અને તેમનો સમાવેશ નિઃશંકપણે મહારાષ્ટ્રમાં NDA અને ‘મહાયુતિ’ જોડાણને મજબૂત બનાવશે. રાજ્યમાં ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે, જે આ સાંસદોને આકર્ષી રહ્યું છે. તેઓ મુખ્ય પ્રવાહમાં જોડાવા માંગે છે, અને અમે તેમનું સ્વાગત કરીએ છીએ.
એકનાથ શિંદેએ ઉમેર્યું, “શિવસેનાના સિદ્ધાંતો ‘શિવ સૈનિક’ ભાવનામાં મૂળ ધરાવે છે. તેથી જ આ છ સાંસદોએ બાળાસાહેબની શિવસેના કે જે ખરેખરમાં વાસ્તવિક શિવસેના છે તેમાં જોડાવાનો નિર્ણય લીધો. કેટલાક લોકો મીડિયામાં વિરોધાભાસી અને ખોટા અહેવાલો અને આરોપો ફેલાવી રહ્યા છે. હું તેમને ખાતરી આપવા માંગુ છું કે, હું દરેકનો આદર કરીશ, તેમના મતવિસ્તારમાં સમસ્યાઓનું નિરાકરણ લાવીશ, અને આપણે એક પરિવાર તરીકે આગળ વધીશું.”