
રેલવે પરિસર અને ટ્રેનોમાં સ્વચ્છતા જાળવવા માટે, ભારતીય રેલવેએ પાલન સુનિશ્ચિત કરવા માટે રેલવેએ પોતાના નિયમો કડક બનાવ્યા છે. મુસાફરો ઘણીવાર સ્ટેશનો પર અથવા ચાલતી ટ્રેનોમાં કચરો ફેંકતા જોવા મળે છે, અથવા પાન કે ગુટખા ખાધા પછી થૂંકતા જોવા મળે છે. આને જોતા રેલવે પ્રશાસને હવે આવી લાપરવાહી કરનાર મુસાફરોને કડક સજા આપવાનો વિચાર કર્યો છે. સરકારે રેલવે પરિસરમાં સ્વચ્છતાને અસર કરતી પ્રવૃત્તિઓ માટે દંડ (સુધારા) નિયમો, 2026 ને સૂચિત કર્યા છે.
નવા નિયમોના અમલીકરણ સાથે,રેલવે પરિસરમાં કચરો ફેંકવા બદલ દંડ બમણો કરવામાં આવ્યો છે. પહેલા આ ગુનાઓ માટે મહત્તમ દંડ 500 હતો. હવે આને વધારીને 1,000 રુપિયા કર્યો છે. જો કોઈ મુસાફરો આ દંડ ભરવાની મનાઈ કરે છે. તો આ કેસ મેજિસ્ટ્રેટને મોકલી શકાય છે. આવા કિસ્સાઓમાં, કોર્ટ ગુનેગાર પર 2,000 રૂપિયા સુધીનો દંડ લગાવી શકે છે, અને જો દંડ ચૂકવવામાં ન આવે તો તેને જેલમાં મોકલી શકે છે.
રેલવે દ્વારા જાહેર કરાયેલા નવા નિર્દેશો મુજબ પ્લેટફોર્મ,સ્ટેશન પરિસર અથવા ટ્રેનના ડબ્બાની અંદર કચરો ફેંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કચરો કચરાપેટ્ટીમાં જ નાંખવાનો રહેશે. આ સિવાય નીચે આપેલી ભૂલ કરી તો રેલવે મોટો દંડ ફટકારી શકે છે.
પ્લેટફોર્મ,ટ્રેનના ટોઈલેટ,સિંક, બારી અથવા ડબ્બામાં તંબાકુ, પાન થુંકવા પર દંડ
પ્લાસ્ટિકની બોટલ, જમવાનું પેકેટ, ચા અથવા કપ ડસ્ટબિનમાં નાંખવાના બદલે ટ્રેન અથવા પ્લેટફોર્મ પર ફેંકવા પર પણ દંડ થઈ શકે છે.
કોઈની પરવાનગી વગર સ્ટેશન પર પોસ્ટર લગાવવું, દારુ અથવા નશીલા પદાર્થોનું સેવન કરવું તેમજ સહ મુસાફરો માટે મુશ્કેલી ઉભી કરવા પર પણ દંડ થઈ શકે છે.
રેલવે મિલકતને નુકસાન પહોંચાડે અથવા પ્રદૂષિત કરે તેવું કોઈપણ કાર્ય ઉલ્લંઘન ગણવામાં આવશે. વધુમાં, સ્ટેશનો પર અધિકૃત વિક્રેતાઓ અને ફેરિયાઓ પાસે કચરાના યોગ્ય નિકાલની ખાતરી કરવા માટે ડસ્ટબિન હોવા જરૂરી છે.