
નવરત્નોમાંથી સૌથી મૂલ્યવાન અને સૌથી કઠોર જો કોઈ રત્ન હોય તો તે હિરો છે. લોકો સામાન્ય રીતે તેને આભૂષણ તરીકે અને કિમતી હોવાના કારણે પહેરવાનું પસંદ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હિરો શુક્ર ગ્રહનું રત્ન ગણાય છે. તેને ધારણ કરવાથી સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે. તેની લગ્ન જીવન અને લોહી પર પણ સીધી અસર થાય છે. શુક્ર નો લાભ લેવા માટે અને જીવનમાં ગ્લેમર વધારવા માટે આ રત્નને અદ્દભૂત ગણાવાયુ છે. પરંતુ કોઈ જાણકારી વિના કે સલાહ વિના તેને ધારણ કરવાથી જીવનમાં તોફાન આવી શકે છે. પંડિત શૈલેન્દ્ર પાંડે જણાવે છે કે કઈ રાશિઓએ હિરો ન પહેરવો જોઈએ.
પંડિતના જણાવ્યા અનુસાર મેષ, સિંહ, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકો માટે હિરો પહેરવો શુભ નથી ગણાતો. આ ઉપરાંત જે લોકો આદ્યાત્મિક ઉન્નતિ ઈચ્છે છે તેમણે પણ હિરો ધારણ ન કરવો જોઈએ.
જ્યારે વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિવાળા માટે હિરો ઘણો શુભ ગણાય છે. સાથે જ કર્ક રાશિના લોકોએ પણ હિરો જરૂર પહેરવો જોઈએ. જે લોકો ગ્લેમર, ફિલ્મ કે મીડિયામાં કામ કરે છે તેમના માટે હિરો લાભદાયક છે.
હિરો ગ્લેમર, સૌદર્ય, યશ અને કીર્તિના મામલે લાભદાયી થઈ શકે છે. પ્રેમ અને દામ્પત્ય જીવન બાબતે પણ હિરો લાભદાયી હોય છે. જો હિરો લાભ આપે તો ડાયાબિટીઝમાં પણ લાભ પહોંચાડે છે. હિરાને અંગૂઠામાં કે તર્જની આંગળીમાં ધારણ કરવાથી શુક્રનો દરેક પ્રકારે લાભ મળે છે. અનામિકામાં ધારણ કરવાથી માત્ર પ્રેમ અને સંબંધોમાં લાભ થાય છે.