
આજે આપણે ગરમીથી રાહત મેળવવા માટે તરત જ પંખા, કૂલર કે એસી તરફ દોડીએ છીએ. પણ જ્યારે આ સાધનો નહોતા અને વીજળી પણ નહોતી આવી, ત્યારે જૂના જમાનાના લોકો અને રાજા-મહારાજાઓ પોતાના ઘરો અને મહેલોને ભીષણ ગરમીમાં કેવી રીતે ઠંડા રાખતા હશે?
અત્યારે ગરમીએ પોતાનું સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાનશાસ્ત્રીઓની આગાહી પણ આગામી દિવસોમાં પ્રચંડ ગરમી તરફ ઈશારો કરી રહી છે. આ સાથે જ કૂલર, એસી અને પંખાનું વેચાણ વધવા લાગ્યું છે. લોકો પોતાની સુવિધા મુજબ ગરમી દૂર કરવાના ઉપાયોમાં લાગી ગયા છે.
આજના સમયમાં ગરમી ભગાડવાના તો ઘણા ઉપાયો છે, પણ ક્યારેય વિચાર્યું છે કે જ્યારે વીજળી નહોતી ત્યારે મહેલો કેવી રીતે ઠંડા રહેતા હતા? તમે કદાચ કહેશો કે રાજાઓ તળાવ કે પહાડો પાસે મહેલ બનાવતા હશે, પણ રાજસ્થાન કે ઈરાન જેવા રણ પ્રદેશોમાં જ્યાં પાણીની અછત હોય ત્યાં મહેલોને ઠંડા રાખવા કઈ ટેકનિક વપરાતી?
પ્રાચીન સમયમાં પણ ઘરોને ઠંડા રાખવા માટે વિશિષ્ટ યંત્રો હતા, જે ઇમારતનો જ હિસ્સો રહેતા. બીબીસીના રિપોર્ટ મુજબ, રણ પ્રદેશોમાં ઘરોમાં ‘પવન યંત્ર’ અથવા ‘વિન્ડ કેચર’ (Wind Catcher) બનાવવામાં આવતા હતા. ઈરાનના યઝ્દ શહેરમાં આ ટેકનિકનો સૌથી વધુ ઉપયોગ થતો હતો, જેને ફારસીમાં ‘બાદગીર’ કહેવામાં આવે છે. આ સંરચનાઓ છત પર મિનારા કે ગુંબજ જેવી દેખાતી હતી. તે ઉપરથી ઠંડી હવાને ઈમારતની અંદર લઈ જતી અને ગરમ હવા બહાર નીકળી જતી. વધુ ઠંડક માટે મહેલોના આંગણામાં પાણીના મોટા કુંડ કે પાત્રો રાખવામાં આવતા હતા.
આવી ટેકનિકોનો ઉપયોગ રાજસ્થાનના જયપુર, જેસલમેર અને ઉદયપુરના મહેલોમાં પણ કરવામાં આવ્યો છે. આ સિવાય ભારતમાં ‘સ્ટેપ વેલ’ એટલે કે મોટી વાવોનું નિર્માણ કરવામાં આવતું હતું, જે આસપાસના વિસ્તારને ઠંડો રાખવામાં મદદ કરતી હતી.
ગામડાઓમાં પણ લોકોના ઘર માટીની જાડી દીવાલોવાળા રહેતા અને આસપાસ વૃક્ષો અને તળાવો હોવાને કારણે વાતાવરણ કુદરતી રીતે જ ઠંડુ રહેતું હતું. દુબઈ જેવા ગરમ શહેરોમાં પણ ઇમારતોને ઠંડી રાખવા માટે યઝ્દની પવન મિનારા ટેકનિકનો ઉપયોગ થતો હતો, જેને ત્યાં ‘બરજીલ’ તરીકે ઓળખવામાં આવે છે.