રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી બે દિવસ ભારતના પ્રવાસે, જાણો કેમ મહત્વપૂર્ણ છે આ બેઠક?
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા ભારત આવી રહ્યા છે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. 7 વર્ષમાં યુક્રેનના વિદેશ મંત્રીની ભારતની આ પ્રથમ મુલાકાત છે. મુલાકાત પહેલા કુલેબાએ કહ્યું હતું કે મારી મુલાકાતથી અમારા સંબંધો વધુ મજબૂત થશે. કુલેબાની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેન રશિયા સાથે 2 વર્ષથી વધુ સમયથી યુદ્ધ લડી રહ્યું છે.
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા આજે ગુરુવારે ભારત આવી રહ્યા છે. આ તેમની પ્રથમ મુલાકાત છે. તેમની આ મુલાકાત બે વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાના પ્રયાસો વચ્ચે થશે. વિદેશ મંત્રાલય (MEA) એ બુધવારે એક નિવેદનમાં બહાર પાડ્યું હતુ જેમાં જણાવામાં આવ્યું હતું કે તેમની મુલાકાતમાં વિદેશ મંત્રી એસ. જયશંકરના આમંત્રણ પર થઈ રહી છે.
તેમની આગામી ભારત મુલાકાત અંગે, દિમિત્રો કુલેબાએ કહ્યું, આ મારી પ્રથમ ભારત મુલાકાત હશે, 7 વર્ષમાં યુક્રેનના વિદેશ મંત્રીની ભારતની આ પ્રથમ મુલાકાત માટે આજે ભારત આવી રહ્યા છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય યુક્રેન-ભારત સંબંધોને મજબૂત કરવાનો છે. તેમણે કહ્યું કે, યુક્રેન ભારતને એક શક્તિશાળી આંતરરાષ્ટ્રીય અવાજ સાથે એક મહત્વપૂર્ણ વૈશ્વિક શક્તિ તરીકે જુએ છે. અમે માનીએ છીએ કે ગાઢ સહકારથી બંને દેશોને ફાયદો થશે.
ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન, કુલેબા વિદેશ મંત્રી અને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથેની સત્તાવાર બેઠકો સહિત અસંખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય ભાગીદારી અને સહયોગ સંબંધિત બાબતો પર ચર્ચા થશે. આ મુજબ તેઓ વેપારી સમુદાય સાથે પણ વાતચીત કરે તેવી અપેક્ષા છે.
યુક્રેનના વિદેશ મંત્રીએ 25 માર્ચે X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ તેમની પ્રથમ વખત ભારત મુલાકાત કરશે. તેણે વીડિયોમાં એમ પણ કહ્યું હતું કે, મારી મુલાકાત અમારા સંબંધોને વધુ મજબૂત કરશે. યુક્રેન અને ભારતને બે મોટા લોકશાહી ગણાવતા કુલેબાએ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે અમે સારા ભાગીદાર અને મિત્રો બનવા તૈયાર છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 માર્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે અલગ-અલગ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે વાતચીત અને કૂટનીતિ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. પીએમ મોદીએ તાજેતરની ચૂંટણીમાં પાંચમી વખત જીતવા બદલ પુતિનને અભિનંદન આપવા ફોન પર વાત કરી હતી. આ પછી તેમણે ઝેલેન્સકીને ફોન કર્યો અને શાંતિ અને વહેલા ઉકેલ માટેના તમામ પ્રયાસો માટે ભારતના સતત સમર્થન વિશે માહિતી આપી.
ભારત યુદ્ધના પક્ષમાં નથી
યુક્રેન આ વખતે જાણે છે કે ભારત યુદ્ધના પક્ષમાં નથી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ભારત તટસ્થ રહ્યું છે. આ સમગ્ર યુદ્ધ પછી રશિયા અને યુક્રેન સાથે ભારતના સંબંધો પહેલા જેટલા મજબૂત હતા. યુક્રેન જાણે છે કે ભારત યુદ્ધ રોકવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ ભારતને શાંતિ નિર્માતાની ભૂમિકા ભજવવાની માંગ કરી છે.