
પાકિસ્તાન આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે હવે એક વખત ફરી દારૂના નિકાસના રસ્તે આગળ વધ્યું છે. લગભગ 50 વર્ષ બાદ પાકિસ્તાને અન્ય દેશોમાં બિયર અને અન્ય આલ્કોહોલિક ડ્રિંક્સની એક્સપોર્ટ શરૂ કરી છે. દેશની એકમાત્ર સ્થાનિક કંપની ‘મરી બ્રૂઅરી’એ એપ્રિલ 2026 દરમિયાન બ્રિટન, જાપાન, પોર્ટુગલ અને થાઈલેન્ડ જેવા દેશોમાં સપ્લાય શરૂ કરી છે.
કંપનીના એક્સપોર્ટ મેનેજર રમીઝ શાહના જણાવ્યા અનુસાર હાલ વિદેશી બજારમાં નેટવર્ક મજબૂત બનાવવાની કામગીરી ચાલી રહી છે અને આગળ જઈને પ્રોડક્શન વધારવાની પણ યોજના છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં લગભગ પાંચ દાયકાં પહેલાં ઇસ્લામિક નિયમોનો હવાલો આપી મુસ્લિમો માટે દારૂ પર પ્રતિબંધ મુકાયો હતો, જેના કારણે દારૂના નિકાસ પર પણ રોક લાગી ગઈ હતી. જોકે, ગેર-મુસ્લિમ સમુદાય માટે કેટલીક છૂટછાટ રાખવામાં આવી હતી.
પાકિસ્તાન સરકારે વર્ષ 2025માં ફરી દારૂના નિકાસને મંજૂરી આપી હતી. ત્યારબાદ હવે તેવા દેશોમાં સપ્લાય શરૂ કરવામાં આવી છે, જે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC)નો ભાગ નથી. આ નિર્ણય પાછળ દેશ પર વધતું આર્થિક દબાણ મુખ્ય કારણ માનવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાન પર હાલમાં લગભગ 138 અબજ ડોલરનું વિદેશી દેવું છે. સરકારની આવક અને ખર્ચ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. વર્ષ 2026 દરમિયાન સરકારની વાસ્તવિક આવક આશરે 40 અબજ ડોલર જેટલી ગણાઈ રહી છે, જ્યારે ખર્ચ 58 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. તેમાંનો મોટો હિસ્સો માત્ર દેવાના વ્યાજની ચુકવણીમાં જ ખર્ચાઈ રહ્યો છે.
મરી બ્રૂઅરી છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર નોન-આલ્કોહોલિક પ્રોડક્ટ્સ જેવા કે પેકેજ્ડ જ્યૂસ, મિનરલ વોટર અને ફ્રૂટ ફ્લેવર ડ્રિંક્સની એક્સપોર્ટ કરતી હતી. કંપનીએ છેલ્લા નાણાકીય વર્ષમાં અંદાજે 100 મિલિયન ડોલરની આવક નોંધાવી હતી. કંપનીના CEO ઇસ્ફાન્યાર ભંડારાએ લાંબા સમયથી એક્સપોર્ટ લાયસન્સ માટે પ્રયત્નો કર્યા હતા.
ઇતિહાસ પર નજર કરીએ તો એપ્રિલ 1977માં તે સમયના પાકિસ્તાની વડાપ્રધાન જુલ્ફિકાર અલી ભુટ્ટોએ દેશમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સમયે તેમની સરકાર સામે ભારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા અને પશ્ચિમી જીવનશૈલી અપનાવવાના આરોપો લાગતા હતા. વિરોધ પક્ષોની માંગણીઓને ધ્યાનમાં રાખીને નાઇટ ક્લબ, બાર અને દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
પછી સૈન્ય શાસક જિયા ઉલ હકે સત્તા સંભાળ્યા બાદ આ કાયદાને વધુ કડક બનાવ્યો અને તેને ઇસ્લામિક કાયદા સાથે જોડ્યો. જોકે, ગેર-મુસ્લિમો માટે લાઇસન્સવાળી દારૂની દુકાનો ચાલુ રાખવામાં આવી હતી. બાદમાં જનરલ પરવેઝ મુશર્રફના સમયમાં આ નિયમોમાં થોડું શિથિલતા લાવવામાં આવી હતી.
પાકિસ્તાનમાં દારૂબંધીને લઈને આજે પણ ચર્ચા ચાલે છે. કેટલાક લોકોનું માનવું છે કે પ્રતિબંધના કારણે ગેરકાયદેસર દારૂનો વેપાર વધ્યો અને અનેક લોકો ઝેરી દારૂના કારણે મોતને ભેટ્યા. કેટલાક નિષ્ણાતો એવો દાવો પણ કરે છે કે દારૂ પર પ્રતિબંધ બાદ ઘણા લોકો હેરોઇન જેવા વધુ ખતરનાક નશીલા પદાર્થો તરફ વળ્યા હતા.
ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર દક્ષિણ એશિયામાં હજારો વર્ષોથી દારૂનો ઉપયોગ થતો આવ્યો છે. સિંધુ ઘાટી સંસ્કૃતિ દરમિયાન પણ દારૂ બનાવાતો હતો. મુગલ અને દિલ્હી સલ્તનતના સમયમાં પણ દારૂ, ભાંગ અને અફીણનો પ્રચાર સામાન્ય ગણાતો હતો.
તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન Shehbaz Sharifએ પણ દેશની વધતી વિદેશી દેવા પર નિર્ભરતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે ખરાબ આર્થિક સ્થિતિને કારણે તેમને વારંવાર વિદેશ પ્રવાસો કરીને લોન માંગવી પડી રહી છે અને આ સ્થિતિ દેશના આત્મસન્માન પર ભાર સમાન છે.
Canada માં રહેતા ભારતીયો માટે મોટી ખુશખબર, 20,000 લોકોને મળશે PR