પાકિસ્તાને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના (Jaish E Mohamed) નેતા મસૂદ અઝહરને (Masood Azhar) પકડવા માટે તાલિબાન સાથે વાત કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે મસૂદ અઝહરને શોધીને તેની ધરપકડ કરવા માટે અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનનો સંપર્ક કર્યો છે. પશ્ચિમી દેશોના દબાણને કારણે પાકિસ્તાન દ્વારા આવું કરવામાં આવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
ભારત સરકારે ડિસેમ્બર 1999માં કાઠમંડુથી કંદહાર જતી ઈન્ડિયન એરલાઈન્સની હાઈજેક કરાયેલ ફ્લાઈટના મુસાફરોને છોડાવવાના બદલામાં મસૂદ અઝહર અને અન્ય બે આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. આ પછી જ તેણે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની રચના કરી અને ભારત વિરુદ્ધ આતંકવાદી ષડયંત્ર રચતો રહ્યો. હવે પાકિસ્તાન તરફથી અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિદેશ મંત્રાલયને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી મસૂદ અઝહરને શોધીને તેની ધરપકડ કરવી જોઈએ.
પાકિસ્તાને પણ આવું એટલા માટે કર્યું છે કારણ કે પાકિસ્તાન સરકારના અધિકારીઓને પણ ડર છે કે મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં ક્યાંક છુપાયેલો છે. તાલિબાનને લખેલા પત્રમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આતંકવાદી મસૂદ અઝહર અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંત અથવા કુનાર પ્રાંતમાં ક્યાંક છુપાયેલો છે. રિપોર્ટમાં આ વખતે એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે કહી શકાય નહીં કે મસૂદ અઝહર તાલિબાનનું શાસન સંભાળતા પહેલા અફઘાનિસ્તાનમાં આવ્યો હતો કે પછી ત્યાં છુપાયેલો છે.
જો કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા મીડિયાને ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. આ વર્ષે કેટલાક પશ્ચિમી દેશો પણ આતંકવાદને લઈને પાકિસ્તાન વિરુદ્ધ ભારતની સાથે આવ્યા હતા. આ દરમિયાન ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક પણ યોજાઈ હતી. જેથી પાકિસ્તાન સમર્થિત લગભગ 30 આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય. જેમાં મસૂદ અઝહર, લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ અને સાજિદ મીરનો સમાવેશ થાય છે. તે જ સમયે, ચીને હાલમાં જ મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને અટકાવી દીધો હતો.
Published On - 7:43 am, Wed, 14 September 22