
ઈરાન યુદ્ધની અસર હવે દુનિયાના અર્થતંત્ર પર દેખાવવા લાગી છે. ભારત સાથે જૂની દુશ્મની ધરાવતા તુર્કીએ પોતાની કરન્સી લીરાને બચાવવા માટે માત્ર બે અઠવાડિયામાં 58 ટન સોનું વેચી દીધું છે. કાચા તેલની વધતી કિંમતો અને આયાત બિલને પહોંચી વળવા માટે તુર્કીના સેન્ટ્રલ બેંકે આ મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. જાણો શું તુર્કીની હાલત પણ પાકિસ્તાન જેવી થવા જઈ રહી છે?
ઈરાન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં થયેલા તોતિંગ વધારાએ અનેક દેશોની કમર તોડી નાખી છે. આ યાદીમાં ભારતનો વિરોધ કરનાર તુર્કી સૌથી ઉપર દેખાઈ રહ્યું છે. વધતા જતા આયાત બિલને કારણે તુર્કીની કરન્સી લીરામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. પોતાની કરન્સીને પતનથી બચાવવા અને ડોલરની અછત પૂરી કરવા માટે તુર્કીએ છેલ્લા બે અઠવાડિયામાં અધધ 58 ટન સોનું વેચી માર્યું છે.
આ વેચાણથી તુર્કીને 8 અબજ ડોલરથી વધુની રકમ મળી છે. આ સાથે જ તુર્કીનો ગોલ્ડ રિઝર્વ હવે ઘટીને 513 ટન રહી ગયો છે, જે છેલ્લા સાત વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે. તુર્કીએ 13 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 6 ટન અને 20 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 52 ટન સોનાનું વેચાણ કર્યું હતું.
તુર્કીની કરન્સી લીરાને બચાવવા માટે ત્યાંની સેન્ટ્રલ બેંક સતત ડોલર ખર્ચી રહી છે. યુદ્ધના કારણે તેલ અને ગેસની આયાત મોંઘી થઈ ગઈ છે, જેના કારણે દેશના વિદેશી મુદ્રા ભંડાર પર ભારે દબાણ છે. તુર્કીનો વિદેશી મુદ્રા ભંડાર 40 અબજ ડોલર ઘટીને 175 અબજ ડોલર પર આવી ગયો છે, જે 2025 પછીનું સૌથી ઓછું સ્તર છે. પોતાની અર્થવ્યવસ્થાને ડૂબતી બચાવવા માટે તુર્કી પાસે સોનું વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
બીજી તરફ ભારત, ચીન અને પોલેન્ડ જેવા દેશો સતત સોનાની ખરીદી કરી રહ્યા છે ત્યારે તુર્કીનું આ પગલું વૈશ્વિક બજાર માટે ચિંતાનો વિષય છે. હાલમાં સોનાની કિંમતોમાં પણ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર રોકાણકારો પર પડી રહી છે.
નિષ્ણાતો માની રહ્યા છે કે જો ઈરાન યુદ્ધ લાંબુ ચાલ્યું અને તેલના ભાવ ન ઘટ્યા, તો તુર્કી પાસે પોતાનો બાકીનો ખજાનો પણ વેચવા સિવાય કોઈ રસ્તો નહીં રહે. જે રીતે પાકિસ્તાન દેવા નીચે દબાયેલું છે, તેવી જ સ્થિતિ હવે તુર્કીની થવા જઈ રહી છે. ભારત સાથે દુશ્મની વહોરનારા આ દેશ માટે હવે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બની રહ્યું છે.