
ઈરાનની રાજધાની તહેરાનમાં આવેલા એક મોટા ઓઈલ સ્ટોરેજ વિસ્તારમાં લાગી આગને કારણે ધુમાડાના વાદળો આકાશમાં ફેલાઈ ગયા છે. આગ બાદ ઊભા થયેલા ઘેરા ધુમાડાએ આસપાસના વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું સ્તર વધારી દીધું છે. સ્થાનિક અધિકારીઓ અને બચાવ ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ ઘટનાના કારણે ઊભી થયેલી ધુમાડાની અસર લાંબા વિસ્તાર સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Toxic Smoke from Tehran Fire Could Affect Jammu & Kashmir, Punjab#TehranFire #IranNews #AirPollution #MiddleEastNews #IranIsraelWar #TV9Gujarati pic.twitter.com/elvqWs26y5
— Tv9 Gujarati (@tv9gujarati) March 9, 2026
પર્યાવરણ અને હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આ ધુમાડાના વાદળો પવનની દિશાને કારણે ધીમે ધીમે મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યા છે. જો પવનની હાલની દિશા યથાવત રહે તો આ ધુમાડો આગળ વધીને દક્ષિણ એશિયાના કેટલાક વિસ્તારો સુધી પહોંચી શકે છે.
નિષ્ણાતો માને છે કે ભારતના ઉત્તર ભાગોમાં તેની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને પંજાબ જેવા રાજ્યોમાં આ ધુમાડાના વાદળોની અસર જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આ અસર કેટલી ગંભીર રહેશે તે પવનની ગતિ, દિશા અને વાતાવરણની સ્થિતિ પર આધાર રાખશે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે જો ધુમાડો લાંબા સમય સુધી વાતાવરણમાં રહેશે તો તે હવાની ગુણવત્તા પર તાત્કાલિક અસર કરી શકે છે.
આ ઘટના પર્યાવરણ માટે પણ ચિંતા ઊભી કરે છે. ઓઈલ સ્ટોરેજમાં લાગેલી આગમાંથી નીકળતા રસાયણિક તત્વો હવામાં ભળી જતા હોય છે, જે લાંબા અંતર સુધી પ્રવાસ કરી શકે છે. આવા ધુમાડા ક્યારેક હજારો કિલોમીટર દૂર સુધી પહોંચી જતા હોવાના કિસ્સાઓ અગાઉ પણ નોંધાયા છે.
ભારતમાં પર્યાવરણ નિષ્ણાતો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જો આ ધુમાડાના વાદળો ઉત્તર ભારત સુધી પહોંચે તો હવાના ગુણવત્તા પર થોડોક પ્રભાવ પડી શકે છે. હાલમાં અધિકારીઓએ કોઈ સત્તાવાર ચેતવણી જાહેર કરી નથી, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે વિશ્વના કોઈપણ ખૂણે બનેલી મોટી ઔદ્યોગિક અથવા પર્યાવરણ સંબંધિત ઘટના તેની અસર દૂરના વિસ્તારો સુધી પણ પહોંચાડી શકે છે. વૈશ્વિક સ્તરે પર્યાવરણ અને સુરક્ષા અંગે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત પણ આ ઘટનાથી ઉજાગર થાય છે.