ઈરાનના જે કોઈ નવા સર્વોચ્ચ નેતા બનશે, તેને પણ મારી નાખીશું- ઈઝરાયેલે આપી ધમકી

Iran Israel War Day 5 : ઈરાનના નવા સર્વોચ્ચ નેતા, મોજતબા ખામેનેઈને ઇઝરાયલ તરફથી ધમકી મળી છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને જણાવ્યું છે કે, જે કોઈ વ્યક્તિ ઈરાનના સર્વોચ્ચ નેતા બનશે તે અમારું નિશાન બનશે. મોજતબા, શનિવારે ઈઝરાયેલ-અમેરિકાએ કરેલા હુમલામાં માર્યા ગયેલા આયાતુલ્લાહ અલી ખામેનેઈના મોટા પુત્ર છે. તેઓ લાંબા સમયથી તેમના પિતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ સાથે કામ કરી રહ્યા હતા.

ઈરાનના જે કોઈ નવા સર્વોચ્ચ નેતા બનશે, તેને પણ મારી નાખીશું- ઈઝરાયેલે આપી ધમકી
| Edited By: | Updated on: Mar 04, 2026 | 3:06 PM

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ આજે પાંચમાં દિવસમાં પ્રવેશ્યું છે. આયતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ પછી, તેમના ઉત્તરાધિકારી, મોજતબાને ઈરાનના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે, મોજતબા ખામેનેઈને હવે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનની જાહેરાત બાદ, ઇઝરાયલે ખુલ્લી ધમકી આપી છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કહે છે કે, જે કોઈ ઈરાનના સર્વોચ્ચ લીડર બનશે તે અમારું નિશાન બનશે.

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝેએ, બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદન પોસ્ટ કર્યું. તેમણે પોસ્ટમાં લખ્યું, “ઈરાનના આતંકવાદી શાસન દ્વારા ઇઝરાયલ, યુનાઇટેડ સ્ટેટ્સનો નાશ કરવા, મુક્ત વિશ્વ, ગલ્ફના દેશોને ધમકી આપવા અને ઈરાની લોકો પર જુલમ કરવાની યોજના ચાલુ રાખવા અને તેનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરાયેલ કોઈપણ નેતા અમારું લક્ષ્ય હશે. ઇઝરાયલ કોઈને પણ છોડશે નહીં.” એવું માનવામાં આવે છે કે, ઇઝરાયલ આયાતુલ્લા અલી ખામેનેઈની માફક જ તેમના પુત્રને પણ નિશાન બનાવશે.

મોજતબા આયાતુલ્લા અલી ખામેનીના મોટા પુત્ર છે

તેહરાન સ્થિત એસેમ્બ્લી ઓફ એક્સપર્ટે 56 વર્ષીય મોજતબા ખામેનેઈને દેશના નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટ્યા છે. મોજતબા સ્વર્ગસ્થ ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના મોટા પુત્ર છે. તેમણે ઘણા સમય સુધી તેમના પિતા સાથે સેવા આપી હતી. યુએસ અને ઇઝરાયલી હુમલાઓમાં અલી ખામેનેઈના તાજેતરના મૃત્યુ બાદ, નવા નેતૃત્વ પદ અંગે અટકળો તેજ થઈ ગઈ છે. મોજતબાનો દાવો મજબૂત હોવાનું જાણવા મળે છે, અને ભલે તેમણે કોઈ અગ્રણી ધાર્મિક પદ સંભાળ્યું ન હોય, તેમ છતાં તેમને દેશની લશ્કરી અને વિધાનસભાનો ટેકો છે.

મોજતબાનું નામ ઉત્તરાધિકારીઓની યાદીમાં નહોતું

એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગયા વર્ષે, અલી ખામેનીએ સંભવિત ઉત્તરાધિકારીઓની યાદીમાં મોજતબાનું નામ સામેલ કર્યું ન હતું. શિયા ધાર્મિક પરંપરામાં પિતાથી પુત્રને સત્તાનું ટ્રાન્સફર સામાન્ય રીતે અસ્વીકાર્ય માનવામાં આવે છે, જેના કારણે આ નિર્ણય વધુ વિવાદાસ્પદ બને છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાની જનતા ઇચ્છતી હતી કે આયાતુલ્લાના પુત્રોમાંથી કોઈ એક ઈરાનના સર્વોચ્ચ નેતા બને. આ નિર્ણય જાહેર ભાવનાના પ્રતિભાવમાં લેવામાં આવ્યો હતો.

મોજતબાની નિમણૂક પર પ્રશ્નો ઉભા થયા

મીડિયા અહેવાલો અનુસાર, મોજતબાની પસંદગીમાં IRGCનો પ્રભાવ હતો, જેના કારણે તેમને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે, મોજતબાની નિમણૂકથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે, કારણ કે ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકે લાંબા સમયથી સગાવાદની ટીકા કરી છે અને પોતાને એક સિદ્ધાંતવાદી વ્યવસ્થા તરીકે રજૂ કર્યું છે. પ્રશ્ન એ છે કે મોજતબાનું ભવિષ્ય શું છે.

ઈરાન-ઈઝરાયેલ, યુએસએ યુદ્ધનો પાંચમો દિવસ, ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટનાનો જુઓ વીડિયો

Published On - 3:04 pm, Wed, 4 March 26