
ભારતના આકાશને અભેદ બનાવવા માટે રશિયાથી વધુ એક ‘બ્રહ્માસ્ત્ર’ ભારત આવી રહ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના મિસાઈલ અને ડ્રોન હુમલાઓને ધૂળ ચટાડનાર S-400 એર ડિફેન્સ સિસ્ટમની ચોથી ખેપ રશિયાએ ભારત માટે રવાના કરી દીધી છે. આ એ જ ડિફેન્સ સિસ્ટમ છે જેનાથી પાકિસ્તાન થર-થર કાંપે છે અને જેના રડારથી બચવા માટે પાકિસ્તાને પોતાના ફાઈટર જેટ્સને સરહદથી દૂર ખસેડવા પડ્યા હતા.
બરાબર એક વર્ષ પહેલા ઓપરેશન સિંદૂર દરમિયાન S-400 એ સાબિત કરી દીધું હતું કે તે દુનિયાનું સર્વશ્રેષ્ઠ ડિફેન્સ સિસ્ટમ છે. પાકિસ્તાને પંજાબ અને ગુજરાત સરહદે તૈનાત S-400 ને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ આ ‘બ્રહ્માસ્ત્ર’ સામે પાકિસ્તાનના અત્યાધુનિક હથિયારો પણ સુતળી બોમ્બ સાબિત થયા હતા.
તાજા અહેવાલો મુજબ, રશિયાએ ચોથું S-400 સિસ્ટમ મોકલી દીધું છે અને તે મે મહિનાના મધ્ય સુધીમાં ભારતીય બંદર પર પહોંચી જશે. વાયુસેનાના અધિકારીઓએ રશિયા જઈને 18 એપ્રિલ સુધીમાં તેનું નિરીક્ષણ પૂર્ણ કરી લીધું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવી સિસ્ટમ રાજસ્થાનમાં પાકિસ્તાન સરહદે તૈનાત કરવામાં આવી શકે છે, જેથી સરહદની સુરક્ષા વધુ મજબૂત બને.
S-400 એન્ટી-બેલિસ્ટિક મિસાઈલ સિસ્ટમની મારક ક્ષમતા 400 કિલોમીટર સુધીની છે. તે એકસાથે અનેક દુશ્મન વિમાનો, મિસાઈલો અને ડ્રોનને ટ્રેક કરીને હવામાં જ નેસ્તનાબૂદ કરી શકે છે. અમેરિકાના અત્યાધુનિક F-35 અને F-16 ફાઈટર જેટ્સ પણ આ સિસ્ટમના રડારની નજરમાંથી બચી શકતા નથી.
ભારતે રશિયા સાથે 5.5 અબજ ડોલરમાં કુલ પાંચ S-400 સ્ક્વોડ્રનનો સોદો કર્યો છે.
પાંચેય S-400 સિસ્ટમની તૈનાતી બાદ ભારતની આસપાસ એક એવું સુરક્ષા કવચ બની જશે કે દુશ્મનનું એક પક્ષી પણ ભારતની પરવાનગી વગર સરહદ ઓળંગી શકશે નહીં. પાકિસ્તાન અને ચીન બંનેની સરહદો પર આ સિસ્ટમ ભારતની અભેદ દીવાલ બનીને ઉભી રહેશે.