ઈમરાન ખાને પાકિસ્તાની મહિલા જજની માંગી માફી, જાણો શું હતો સમગ્ર મામલો
પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran khan) 22 સપ્ટેમ્બરે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થયા હતા. તેણે મહિલા ન્યાયાધીશ વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગવાની તૈયારી દર્શાવી હતી.
પાકિસ્તાની (Pakistan)મહિલા જજ પર વિવાદિત નિવેદનથી ફસાયેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને (Imran khan) આખરે મહિલા જજની (woman judge) માફી માંગી લીધી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખ ઈમરાન ખાન શુક્રવારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જેબા ચૌધરીની કોર્ટમાં હાજર થયા હતા. જેબા ચૌધરી એ જ જજ છે જેમની સામે ખાને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ચૌધરીની કોર્ટમાં હાજરી બાદ ઈમરાન ખાને તેમની ધમકી બદલ તેમની પાસે માફી માંગી અને દિલગીરી વ્યક્ત કરી. જોકે મહિલા જજ જેબા કોર્ટમાં હાજર ન હતા. ઈમરાન ખાને રીડર અને સ્ટેનોની સામે બિન-હાજર મહિલા ન્યાયાધીશની માફી માંગી અને કહ્યું, ‘જ્યારે જેબા ચૌધરી આવે ત્યારે તેને કહેજો કે ઈમરાન ખાન તેની પાસે માફી માંગવા આવ્યો હતો.’ આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
આ પહેલા ઈસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે કલમ 144ના ઉલ્લંઘનના કેસમાં ઈમરાન ખાનને જામીન આપ્યા હતા. આ પ્રસંગે કોર્ટની બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન ખાન 22 સપ્ટેમ્બરે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થયા હતા. તેણે મહિલા ન્યાયાધીશ વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગવાની તૈયારી દર્શાવી હતી. ખાને ઝેબા ચૌધરીની માફી માંગવાની ઈચ્છા દર્શાવ્યા બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેમની સામેની અવમાનનાની કાર્યવાહી મુલતવી રાખી હતી.
શું હતો સમગ્ર મામલો ?
વાસ્તવમાં, મામલો ત્યારે શરૂ થયો જ્યારે ખાને 20 ઓગસ્ટના રોજ રાજધાનીમાં એક રેલી દરમિયાન, પોલીસ અધિકારીઓ, ચૂંટણી પંચ અને રાજકીય વિરોધીઓ સામે તેમના સાથીદાર શાહબાઝ ગિલ સાથે ગેરવર્તન બદલ કેસ નોંધવાની ધમકી આપી. ગિલની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેણે ન્યાયાધીશ ઝેબા ચૌધરીના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો જેમાં તેણે ગિલને બે દિવસની કસ્ટડીમાં મોકલવાની પોલીસની વિનંતી સ્વીકારી હતી અને કહ્યું હતું કે તેણે તૈયાર રહેવું જોઈએ કારણ કે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ખાન પર ગુંડાગીરીનો આરોપ હતો
ભાષણના થોડા કલાકો પછી, ખાન પર તેની રેલીમાં પોલીસ, ન્યાયતંત્ર અને રાજ્યની અન્ય સંસ્થાઓને ધમકી આપવા બદલ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ અમીર ફારુકે ગિલના પોલીસ રિમાન્ડને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે ખાન વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. હાઈકોર્ટે ખાનને કોર્ટને સંતુષ્ટ કરવા માટે લેખિત જવાબ આપવા માટે બે વાર તક આપી હતી, પરંતુ તેઓ કોર્ટને સંતુષ્ટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ પછી હાઈકોર્ટે તેમના પર મહાભિયોગ ચલાવવાની જાહેરાત કરી હતી.