આફ્રિકન દેશ નાઈજીરિયામાં (Nigeria) બંદૂકધારીઓએ એક બસ પર હુમલો કરીને ઓછામાં ઓછા 19 લોકોની હત્યા કરી નાખી હોવાના સમાચાર સામે આવ્યા છે. પેસેન્જર ટ્રાન્સપોર્ટ કંપનીઓના એસોસિએશન દ્વારા ગુરુવારે આ માહિતી આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, સ્થળ બુર્કિના ફાસોની (Burkina Faso) સરહદની નજીક છે. એસોસિએશને જણાવ્યું હતું કે, મોટરસાઇકલ પર આવેલા એક ડઝન જેટલા જેહાદીઓએ બુધવારે ફોનો ગામ પાસે બસ રોકી હતી અને બસને આગ લગાડતા પહેલા મુસાફરોને ગોળી મારી દીધી હતી.
તેમણે કહ્યું કે, ઘણા મુસાફરો ઘાયલ છે અને ઘણા લાપતા છે. તેમણે જણાવ્યું કે બસ બુર્કિના ફાસોની રાજધાની ઔગાડોગૂથી નાઈજરની રાજધાની નિયામી જઈ રહી હતી. આ હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી, પરંતુ બુર્કિના ફાસોની સરહદે આવેલા તિલાબેરી વિસ્તારમાં આવા જ હુમલા ભૂતકાળમાં અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સાથેના જેહાદી જૂથો દ્વારા કરવામાં આવ્યા છે.
તે જ સમયે ગયા મહિને આતંકવાદીઓએ આફ્રિકન દેશ કોંગોમાં વિસ્થાપિત લોકોના કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા હતા. તિક્ષ્ણ હથિયારો વડે લોકોની હત્યા કરવામાં આવી હતી. સમાચાર એજન્સી રોયટર્સે સ્થાનિક એનજીઓના વડા અને એક સાક્ષીના હવાલાથી આ મામલાની માહિતી આપી છે. આ ઘટના દેશના અશાંત ઇતુરી પ્રાંતની છે. જે દેશના પૂર્વ ભાગમાં છે. અહીં મે 2021થી સરકારે કડક નિયંત્રણો લાદી દીધા હતા.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, આ પ્રાંત ખનિજોથી સમૃદ્ધ છે અને સશસ્ત્ર જૂથો અહીં મુક્તપણે ફરે છે. આનો સામનો કરવા માટે પ્રાંતમાં તમામ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં હિંસા પર નજર રાખતા કિવુ સિક્યોરિટી ટ્રેકરે ટ્વિટર પર જણાવ્યું હતું કે, “જુગુ પ્રદેશના પ્લેન સાવોમાં ગઈકાલે રાત્રે તીક્ષ્ણ હથિયારો વડે ઓછામાં ઓછા 40 નાગરિકોની હત્યા કરવામાં આવી હતી.” હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. પરંતુ કેએસટીનું કહેવું છે કે, આ હુમલા પાછળ કોડેકો એટલે કે સ્થાનિક બળવાખોરોનું જૂથ હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: GATE 2022 Answer Key 2022: IIT ખડગપુરે GATE પરીક્ષાની ફાઈનલ આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ચેક
આ પણ વાંચો: Pakistan: PM ઈમરાન ખાનની ખુરશીના પાયા હલ્યા, પાર્ટીના 15 સહયોગી છોડી શકે છે ઈમરાનનો સાથ