રશિયા પર યુરોપિયન સંઘનો પ્રતિબંધ, ગુજરાતમાં આવેલી સૌથી મોટી રિફાઇનરીને બનાવી નિશાન ! જાણો

યુરોપીય સંઘે (EU) રશિયા સામે નવા પ્રતિબંધોની ઘોષણા કરી છે, જેમાં ગુજરાતની એક રિફાઇનરીને પણ પ્રથમ વખત નિશાન બનાવવામાં આવી છે. રશિયા સામેનો આ અત્યાર સુધીનો સૌથી સખત પ્રતિબંધ પેકેજ ગણાવાયો છે, જેનો મુખ્ય હેતુ યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધના નાણાંકીય સ્ત્રોતોને કાપવો છે.

રશિયા પર યુરોપિયન સંઘનો પ્રતિબંધ, ગુજરાતમાં આવેલી સૌથી મોટી રિફાઇનરીને બનાવી નિશાન ! જાણો
| Updated on: Jul 19, 2025 | 8:35 AM

EUના તાજેતરના 18મા પ્રતિબંધ પેકેજમાં એવું સ્પષ્ટ કરાયું છે કે નાયરા એનર્જી, જેમાં રશિયાની રાષ્ટ્રીય કંપની Rosneft ની 49.13% ભાગીદારી છે, એ રશિયાને તેલમાંથી મળતી આવક માટે મહત્વપૂર્ણ સ્ત્રોત બની છે. વાડીનાર રિફાઇનરી ભારતમાં બીજા ક્રમની સૌથી મોટી રિફાઇનરી છે અને અહીં રશિયાથી આયાત કરાયેલું ક્રૂડ ઓઇલ શુદ્ધ કરીને ડીઝલ અને જેટ ઇંધણ તરીકે યુરોપમાં નિકાસ કરાય છે.

યુરોપીય સંઘે પ્રથમવાર ભારતીય ફ્લેગ રજિસ્ટ્રી પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. તેનો અર્થ એ છે કે જે જહાજો ભારતીય ધ્વજ હેઠળ નોંધાયેલા છે અને રશિયાના તેલના પરિવહન સાથે સંકળાયેલા છે, તેમના પર EU કાયદેસર કાર્યવાહી કરી શકે છે.

અવૈધ રૂપે તેલ પહોંચાડતા જહાજો

યુરોપીય વિદેશ નીતિની મુખ્ય કાજા કલાસે જણાવ્યું કે “અમે રશિયાની શેડો ફ્લીટ (અવૈધ રૂપે તેલ પહોંચાડતા જહાજો), તેના સહયોગીઓ અને તેલથી થતા નાણાંકીય પ્રવાહોને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે રશિયાની સેના માટે જરૂરી ટેકનોલોજી અને ચીની બેન્કોને પણ નિશાન બનાવી રહ્યા છીએ.”

હાલમાં વાડીનાર રિફાઇન રશિયાના ક્રૂડ ઓઇલ પર ખૂબ નિર્ભર છે. વર્ષ 2023 દરમિયાન નાયરા એનર્જીએ 82 મિલિયન બેરલ રશિયન ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું, જે તેની કુલ આવકનો આશરે 57% હિસ્સો છે. આ પરિષ્કૃત ઉત્પાદન પછી યુરોપ અને પશ્ચિમના અન્ય દેશોમાં નિકાસ કરાય છે, જેને “રિફાઇનિંગ લૂપહોલ” તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી રશિયા પર પ્રતિબંધ હોવા છતાં તેને આવક મળતી રહી છે.

EU એ Nord Stream 1 અને 2 ગેસ પાઇપલાઇનો પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કર્યો છે – જે હજુ તો નિષ્ક્રિય છે, પણ આવનાર સમયમાં રશિયા તેને પુનઃશરૂ ન કરી શકે તે માટે પહેલથી અવરોધ મૂકવામાં આવ્યો છે.

ભારતીય રિફાઇનરીઓ યુરોપ માટે પરિષ્કૃત તેલના મહત્વપૂર્ણ સ્ત્રોત બની

સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA) અનુસાર, 2024ના પહેલા નવ મહિનામાં વાડીનાર, જામનગર અને ન્યૂ મંગલોર રિફાઇનરીઓમાંથી યુરોપમાં નિકાસમાં 58%નો ઉછાળો જોવા મળ્યો છે. આ દર્શાવે છે કે ભારતીય રિફાઇનરીઓ યુરોપ માટે પરિષ્કૃત તેલના મહત્વપૂર્ણ સ્ત્રોત બની છે.

ભારતના માટે આ સ્થિતિ થોડી કઠિન બની શકે છે. ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે રશિયાથી સસ્તું તેલ ખરીદે છે. જો પશ્ચિમી દેશો ભારત પર વધુ પ્રતિબંધો મૂકે છે, તો તેનો અર્થતંત્ર પર અસર પડી શકે છે. જોકે, વાડીનાર રિફાઇનરી પર પ્રતિબંધ બાદ હજુ સુધી ભારત સરકારે કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી.

અમેરિકાના લોસ એન્જલસમાં બ્લાસ્ટ, તપાસ શરૂ, વીડિયો જોવા અહીં ક્લિક કરો..

Published On - 8:31 am, Sat, 19 July 25

Follow Us
Loading...
Unable to load recommendations.