
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનોથી ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવા માટે જે સમજૂતી (MoU) થઈ છે, તે પાકી નથી. તેમણે ધમકી આપી છે કે, જો ઈરાન યોગ્ય રીતે વર્તન નહીં કરે તો તેઓ ફરીથી બોમ્બમારો શરૂ કરી શકે છે.
જી-7 બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું, “આ કોઈ આખરી નિર્ણય નથી. આ માત્ર એક પ્રારંભિક સમજૂતી છે. જો મને આ પસંદ નહીં આવે અથવા ઈરાન યોગ્ય રીતે વર્તન નહીં કરે, તો અમે સીધા તેમના માથા પર બોમ્બ વરસાવવાનું શરૂ કરી દઈશું… કારણ કે તેઓ છેલ્લા 47 વર્ષથી ખોટા કામ કરી રહ્યા છે.” ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે માત્ર બે દિવસ પછી સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે આ સમજૂતી પર હસ્તાક્ષર થવાના છે.
વાસ્તવમાં, ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી જી-7 સંમેલન માટે ફ્રાન્સ પહોંચ્યા છે, ત્યારથી તેઓ સતત ઈરાન સમજૂતીને લઈને નિવેદનો આપી રહ્યા છે. પોતાના નવા દાવામાં ટ્રમ્પે કહ્યું કે, તેમણે દુનિયાને એક “મહામંદી” માંથી બચાવી લીધી છે, જેની હિમાયત કેટલાક “મૂર્ખ લોકો” કરી રહ્યા હતા. જો કે, હંમેશની જેમ અનોખા અંદાજમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે એ સ્પષ્ટ નથી કર્યું કે, તેઓ કયા લોકોને મૂર્ખ કહી રહ્યા હતા.
ટ્રમ્પે આ વાતનો ફરી પુનરોચ્ચાર કર્યો કે, દુનિયામાં તેલ સપ્લાયનો મુખ્ય રસ્તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) પહેલાથી જ આંશિક રીતે ખૂલી ચૂક્યો છે અને આગામી એક કે બે દિવસમાં તે સંપૂર્ણપણે ખૂલી જશે.
જી-7 સમિટ શરૂ થવાના બરાબર એક દિવસ પહેલા અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના માળખા (ફ્રેમવર્ક)ની જાહેરાત કરવામાં આવી હતી. આ સમજૂતીનો હેતુ એ યુદ્ધને ખતમ કરવાનો છે, જેણે આખા મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)ને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું અને દુનિયાની ઊર્જા સપ્લાયને ઠપ કરી દીધી હતી. જો કે, આ સમજૂતીની પૂરી વિગતો હજી સામે આવી નથી પરંતુ તેના કેટલાક મુદ્દા આ પ્રમાણે છે: