
અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બીજા રાઉન્ડની શાંતિ વાટાઘાટોને લઈને અનિશ્ચિતતા વધી રહી છે, ત્યારે શાહબાઝ શરીફ ઈરાનને મનાવવાના પ્રયાસોમાં સક્રિય થયા છે. રવિવારે તેમણે મસૂદ પેઝેશ્કિયાન સાથે લગભગ 45 મિનિટ સુધી ફોન પર ચર્ચા કરી, જેમાં વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ અને શાંતિ માટેના પ્રયાસો અંગે વિગતવાર વિચારવિમર્શ થયો. પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય મુજબ, આ વાતચીત સકારાત્મક અને મૈત્રીપૂર્ણ રહી હતી, અને શરીફે સાઉદી અરેબિયા, કતાર અને તુર્કીના નેતાઓ સાથે થયેલી તાજેતરની ચર્ચાનો પણ ઉલ્લેખ કર્યો.
આ તરફ, ડોનાલ્ડ ટ્રમ્પએ દાવો કર્યો છે કે અમેરિકા તરફથી એક પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ પહોંચીને ઇરાન સાથે શાંતિ વાટાઘાટો આગળ વધારશે. જોકે, ઇરાન તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી. ઇરાનની રાજ્ય સમાચાર એજન્સી IRNAએ તો ઇસ્લામાબાદમાં બીજા રાઉન્ડની વાટાઘાટોની વાતને નકારી કાઢી છે, જેનાથી પરિસ્થિતિ વધુ ગૂંચવણભરી બની છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે ઇરાને વાટાઘાટોમાં ભાગ લેવા માટે કેટલીક શરતો મૂકી છે. સૂત્રો અનુસાર, ઇરાનનું કહેવું છે કે જો અમેરિકા તેના બંદરો પર લાદવામાં આવેલી નૌકાદળની નાકાબંધી હટાવે તો જ તે ચર્ચામાં જોડાશે. પાકિસ્તાનમાં ઇરાનના રાજદૂત સહિતના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. બીજી તરફ, પાકિસ્તાન સરકાર અને વિદેશ મંત્રાલય ઇરાનને સમજાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે, જેથી સંવાદ પ્રક્રિયા ફરી શરૂ થઈ શકે.
આ મુદ્દે ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે પણ બેઠક કરી છે. ઇરાનની ચિંતાઓમાં મુખ્યત્વે પ્રતિબંધો હટાવવાના મુદ્દા અને અટકેલા ભંડોળની પરતફેરનો સમાવેશ થાય છે. ઇરાનને શંકા છે કે અગાઉની જેમ ફરીથી વાટાઘાટો પછી પરિસ્થિતિ બગડી શકે છે.
ઉલ્લેખનીય છે કે 11 અને 12 એપ્રિલે ઇસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે પહેલો રાઉન્ડ યોજાયો હતો, પરંતુ કોઈ ઠોસ પરિણામ આવ્યું નહોતું. હાલનો યુદ્ધવિરામ 22 એપ્રિલે સમાપ્ત થવાનો છે, જેના પહેલાં તણાવ ઘટાડવા માટે નવા રાઉન્ડની ચર્ચાઓ અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાનની મધ્યસ્થ ભૂમિકા ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો- ઇરાની ફાયરિંગ વચ્ચે ભારતીય ટેન્કર ‘દેશ ગરિમા’ સુરક્ષિત બહાર, કેવી રીતે પાર કરી અગ્નિપરીક્ષા?