
તેહરાનમાં ભારતીય દૂતાવાસે બુધવારે (8 એપ્રિલ, 2026) એક નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં, ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને વહેલી તકે ઈરાન દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે. વધુ સારા સંકલનને સરળ બનાવવા અને કટોકટીની પરિસ્થિતિઓમાં ઉપયોગ માટે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ ભારત દ્વારા તેના નાગરિકો માટે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવાર 7 એપ્રિલ પછી દૂતાવાસે જાહેર કરેલી આ બીજી એડવાઈઝરી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ઈરાનના પાવર પ્લાન્ટ અને પુલો પર બોમ્બ ફેંકવા સાથે એક સભ્યતાને ખતમ કરી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.
⚠️ Advisory as on 08 April 2026. pic.twitter.com/pusFQIAKKI
— India in Iran (@India_in_Iran) April 8, 2026
તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે જાહેર કરેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે: “7 એપ્રિલ, 2026 ના રોજની સલાહ અને તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને, હાલમાં ઈરાનમાં હાજર રહેલા ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડવાની કડક સલાહ આપવામાં આવે છે, દૂતાવાસ સાથે સંકલન કરીને અને દૂતાવાસ દ્વારા સૂચવેલા નિયુક્ત માર્ગોનો ઉપયોગ કરીને આવું કરવું.”
એડવાઈઝરીમાં દૂતાવાસે પુનરોચ્ચાર કર્યો હતો કે, કોઈપણ ભારતીય નાગરિકે દૂતાવાસ સાથે પહેલા સલાહ અને સંકલન કર્યા વિના કોઈપણ આંતરરાષ્ટ્રીય ભૂમિ સરહદ તરફ જવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.
આજે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની નિર્ધારિત સવારે 8 વાગ્યાની ‘સમયમર્યાદા’ (ભારતીય સમય મુજબ સવારે 5.30 કલાક) સમાપ્ત થવાના લગભગ દોઢ કલાક પહેલા જ ઈરાન સાથે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કરાર ઈરાન દ્વારા વિશ્વના લગભગ પાંચમા ભાગના તેલનું પરિવહન થાય છે તે સ્ટ્રેટ દ્વારા તેલ અને ગેસના પુરવઠા પરના પ્રતિબંધો હટાવવા માટે સંમત થવા પર નિર્ભર છે.