ભારતીય ખલાસીઓ પર અમેરિકાના ઉપરાઉપરી મિસાઇલ હુમલા, દેશભરમાં ભારે આક્રોશ વચ્ચે શું કરશે ભારત સરકાર ? જુઓ Video

યુએસ-ઈરાન યુદ્ધમાં ભારતીય ખલાસીઓ બની રહ્યા છે ભોગ. ચાર દિવસમાં ત્રણ મોટા હુમલા અને રાજદ્વારી વિવાદ વચ્ચે જાણો મેરીટાઇમ વર્લ્ડમાં સર્જાયેલી કટોકટી.

ભારતીય ખલાસીઓ પર અમેરિકાના ઉપરાઉપરી મિસાઇલ હુમલા, દેશભરમાં ભારે આક્રોશ વચ્ચે શું કરશે ભારત સરકાર ? જુઓ Video
Image Credit source: Google
| Updated on: Jun 11, 2026 | 5:52 PM

આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પરથી એક એવા ચિંતાજનક અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર ભારતમાં અમેરિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં અમેરિકાએ એવા કોમર્શિયલ જહાજો પર ત્રણ મોટા મિસાઇલ હુમલા કર્યા છે, જેમાં મોટાભાગના ક્રૂ મેમ્બર્સ (ખલાસીઓ) ભારતીય છે. સૌથી દુઃખદ વાત એ છે કે આ હુમલાઓમાં હવે ભારતીય નાગરિકોના જીવ જવાનું શરૂ થઈ ગયું છે.

યુએસ-ઈરાન વિવાદમાં ભારતીય સેલર્સ બન્યા ભોગ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા આંતરિક તણાવમાં સૌથી મોટું નુકસાન નિર્દોષ ભારતીય ખલાસીઓને ભોગવવું પડી રહ્યું છે. ગઈકાલે થયેલા હુમલામાં બે ભારતીય ખલાસીઓના મોતના સમાચાર કન્ફર્મ થયા છે, જ્યારે ત્રીજા વ્યક્તિ હજુ પણ ગુમ છે. મૃતકોમાં હિમાચલ પ્રદેશના 23 વર્ષીય યુવા સેલર આદિત્ય શર્મા અને એન્જિન ફિટર શિવઆનંદ ચૌરસિયા સામેલ છે, જ્યારે ચીફ એન્જિનિયર પટનાલા સુરેશ હજુ પણ ગુમ છે. આ ઘટના બાદ ભારતે યુએસ એમ્બેસીના અધિકારીઓને સમન્સ પાઠવીને સખત વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તેની કોઈ અસર જોવા મળી નથી. આજે ફરી એકવાર એવા જ એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે જેમાં ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

ચાર દિવસમાં કયા ત્રણ જહાજો બન્યા નિશાન?

અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (US CENTCOM) દ્વારા ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફની આસપાસ આ પ્રિસિઝન સ્ટ્રાઇક્સ કરવામાં આવી રહી છે:

  • એમટી મેરીવેક્સ (8 જૂન): આ જહાજ પર સૌથી પહેલો હુમલો થયો હતો. તેમાં 24 ભારતીય ક્રૂ મેમ્બર હતા, સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
  • એમટી સેટ બેલો (9-10 જૂન): આ જહાજના એન્જિન રૂમને નિશાન બનાવી મિસાઇલ ડાઘવામાં આવી હતી. 24 ભારતીય સભ્યોમાંથી 21 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે બેના મોત થયા છે અને એક ગુમ છે.
  • એમટી જલવીર (11 જૂન): ભારતના વિરોધ છતાં આજે ત્રીજો હુમલો આ જહાજ પર થયો છે. આમાં પણ એન્જિન રૂમને જ નિશાન બનાવાયો છે અને 20 ભારતીય ખલાસીઓ તેમાં સવાર છે. ઓમાન કોસ્ટ નજીક આ હુમલો હજુ પણ જારી હોવાના અહેવાલ છે.

અમેરિકા કેમ કરી રહ્યું છે આ હુમલા?

યુએસ સેન્ટકોમનું કહેવું છે કે આ જહાજો અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને ઓઈલ ટ્રેડ કરી રહ્યા હતા. અમેરિકાના મતે, ઈરાનની કમાણી રોકવા માટે આ જહાજોને રોકવા જરૂરી છે. અમેરિકાનો દાવો છે કે આ જહાજો પોતાના ટ્રેકિંગ કોઓર્ડિનેટ્સ બંધ કરી દે છે, તેથી તેઓ પહેલા ચેતવણી આપે છે અને પછી જહાજને રોકવા માટે સીધો તેના એન્જિન રૂમ પર જ હુમલો કરે છે.

આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન

મેરીટાઇમ એક્સપર્ટ્સના મતે, કોઈપણ કોમર્શિયલ કે મર્ચન્ટ વેસલ સિવિલિયન પ્રોપર્ટી ગણાય છે. તેના પર આ રીતે સૈન્ય હુમલો કરવો તે ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) ના નિયમોની વિરુદ્ધ છે. અમેરિકા અત્યારે સત્તાવાર રીતે કોઈ યુદ્ધમાં નથી, તેમ છતાં તે એકપક્ષીય રીતે આવા હુમલા કરી રહ્યું છે, જે ‘માઇટ ઇઝ રાઇટ’ (જેની લાકડી તેની ભેંસ) જેવી સ્થિતિ દર્શાવે છે.

ભારતનું આગામી પગલું શું હોઈ શકે?

ભારત સરકારે ઓમાનની ઓથોરિટીઝ સાથે મળીને રેસ્ક્યુ ઓપરેશન તેજ કર્યું છે. યુએસ એમ્બેસેડર સર્જિયો ગોર હાલમાં ક્રિટિકલ મિનરલ્સ ડાયલોગ માટે કઝાકિસ્તાન હોવાથી ભારતના વિદેશ મંત્રાલયે યુએસ ચાર્જ ડી અફેર્સ જેસન મીક્સને સમન્સ મોકલીને આકરી નિંદા કરી છે. જો કે, માત્ર કાગળ પર કે મૌખિક વિરોધ કરવાથી અમેરિકા રોકાઈ રહ્યું નથી.

હવે ભારત પાસે આ મામલાને સીધા વિદેશ મંત્રી સ્તરે (EAM Level) લઈ જવાનો વિકલ્પ છે, જ્યાં ડૉ. એસ. જયશંકર સીધા અમેરિકી વિદેશ સચિવ સાથે વાત કરીને દબાણ વધારી શકે છે, કારણ કે આ ઘટનાઓની અસર ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારી પર પણ પડી શકે તેમ છે.

Breaking News: 12 વર્ષમાં આતંકવાદ પર એરસ્ટ્રાઇક, આર્ટિકલ 370 નાબૂદી જેવા ઐતિહાસિક નિર્ણયોથી વિશ્વમાં ભારતની તાકાત વધી

Follow Us