
આજના સમયમાં ખરાબ લાઇફસ્ટાઇલ અને માનસિક તણાવના કારણે હાર્ટ અટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ઘણીવાર કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાયા વિના જ વ્યક્તિ અચાનક હાર્ટ અટેકનો શિકાર બની જાય છે. પરંતુ હવે મેડિકલ સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમન્વયથી એક એવી અદભુત ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, જે ભવિષ્યમાં આવનારા આ જીવલેણ જોખમના સંકેત ઘણો સમય પહેલાં જ આપી દેશે.
યુનિવર્સિટી ઓફ હોંગકોંગ (HKUMed) ના સંશોધકોએ ‘કાર્ડિયોમિકસ્કોર’ (Cardiomicscore) નામનું એક ખાસ એઆઈ ટૂલ તૈયાર કર્યું છે. આ એડવાન્સ સિસ્ટમ માત્ર એક સામાન્ય બ્લડ ટેસ્ટના માધ્યમથી શરીરમાં છુપાયેલા હૃદયરોગના જોખમોને ઓળખી કાઢશે. આ સંશોધનના પરિણામો પ્રખ્યાત સાયન્સ જર્નલ ‘નેચર કોમ્યુનિકેશન્સ’ માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
હોંગકોંગના ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, કાર્ડિયોમિકસ્કોર એક અત્યંત આધુનિક ટેસ્ટ છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિને હૃદયની તકલીફ હોય ત્યારે તેને છાતીમાં દુખાવો થવો અથવા શ્વાસ ફૂલવા જેવા લક્ષણો દેખાય છે. પરંતુ આ એઆઈ ટૂલ દર્દીના શરીરમાં આવા કોઈ પણ બાહ્ય લક્ષણો શરૂ થાય તેના પરથી કેટલાક સમય પહેલા આવનારા કાર્ડિયોવેસ્ક્યુલર જોખમની સચોટ આગાહી કરી શકે છે. આ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે શરીરમાં થતા મોલેક્યુલર (આણ્વિક) ફેરફારોને શરૂઆતથી જ પકડી પાડે છે.
આ આધુનિક ટૂલ માત્ર હાર્ટ અટેક જ નહીં, પરંતુ હૃદય અને નસો સાથે જોડાયેલી 6 મોટી જીવલેણ બીમારીઓનો અગાઉથી અંદાજ લગાવી શકે છે:
આ રિસર્ચ ટીમે ડીપ લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીનોમિક્સ અને મેટાબોલોમિક્સ સહિતના ડેટાને એકસાથે જોડ્યા છે. આ અભ્યાસ માટે UK બાયોબેંકના વસ્તીના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં બ્લડ સેમ્પલમાંથી લેવાયેલા 2,920 પ્રોટીન અને 168 મેટાબોલાઇટ્સનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ મોલેક્યુલર સિગ્નલો માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ, મેટાબોલિઝમ અને નસોના સ્વાસ્થ્યમાં થતા નાનામાં નાના બદલાવને પણ સરળતાથી પકડી પાડે છે.
યુનિવર્સિટીના ફાર્માકોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર ઝાંગ કિંગપેંગે જણાવ્યું હતું કે, આ એઆઈ ટૂલ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે ડૉક્ટરો અને દર્દીઓ સમયસર જોખમને ઓળખી શકે. અત્યારે જે મેડિકલ હેલ્થ ચેકઅપ થાય છે તેમાં મુખ્યત્વે ઉંમર, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને સ્મોકિંગ જેવી બાબતોના આધારે હૃદયના જોખમની ગણતરી થાય છે. પરંતુ આ ટૂલ લોહીના કણોના આધારે એટલી વહેલી ચેતવણી આપશે કે માણસ પોતાની લાઈફસ્ટાઈલ, ખાનપાન અને કસરતની આદતો બદલીને ભવિષ્યમાં થનારી આ જીવલેણ બીમારીને આવતા પહેલાં જ રોકી શકશે.