ચોમાસામાં શરીર પર દેખાય આ 3 ફેરફાર તો ચેતી જજો, સામાન્ય ખંજવાળ નથી પણ હોઈ શકે છે ગંભીર ઇન્ફેક્શનના સંકેત

ચોમાસાની ઋતુમાં હવામાં ભેજ અને વધુ પડતા પરસેવાના કારણે ત્વચા સંબંધિત રોગોનું પ્રમાણ ઝડપથી વધે છે. જો શરૂઆતમાં જ લાલ ચકામા અને અસહ્ય ખંજવાળ જેવા લક્ષણોને ઓળખી લેવામાં ન આવે, તો આ ફંગલ ઇન્ફેક્શન ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને ડાયાબિટીસ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ આ ઋતુમાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

ચોમાસામાં શરીર પર દેખાય આ 3 ફેરફાર તો ચેતી જજો, સામાન્ય ખંજવાળ નથી પણ હોઈ શકે છે ગંભીર ઇન્ફેક્શનના સંકેત
| Updated on: Jul 01, 2026 | 8:08 PM

ચોમાસાની ઋતુ ગરમીથી રાહત ચોક્કસ લાવે છે, પરંતુ તેની સાથે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ લઈને આવે છે. આ દિવસોમાં સૌથી વધુ જોવા મળતી સમસ્યા ફંગલ ઇન્ફેક્શનની છે. વરસાદના દિવસોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે, શરીરમાં પરસેવો વધુ થાય છે અને ઘણી વખત કપડાં કે જૂતાં લાંબો સમય સુધી ભીના રહે છે. આ પરિસ્થિતિ ફંગસને ત્વચા પર ઝડપથી ફેલાવવાની તક આપે છે. આ જ કારણે ચોમાસામાં ખંજવાળ, લાલ ચકામા અને ત્વચાના અન્ય રોગોનું પ્રમાણ અચાનક વધી જાય છે.

શું છે આ ફંગલ ઇન્ફેક્શન?

ફંગલ ઇન્ફેક્શન એ એક ખાસ પ્રકારની ફૂગના કારણે થતો ચેપ છે. તે સામાન્ય રીતે ત્વચા, નખ, વાળ, મોં અને શરીરના અન્ય ભાગોને અસર કરે છે. ફંગસને ઉછરવા માટે ભેજવાળું અને ગરમ વાતાવરણ અનુકૂળ રહેતું હોવાથી વરસાદની ઋતુ તેના ફેલાવા માટે જવાબદાર માનવામાં આવે છે.

ચોમાસામાં શા માટે વધે છે જોખમ?

  • ભેજ અને પરસેવો: ચોમાસામાં પરસેવો સુકાતો નથી. જો ત્વચા લાંબો સમય ભીની રહે તો બગલ, ગરદન, સાથળની વચ્ચે અને ત્વચાની કરચલીઓ વાળા ભાગમાં ફંગસ ઝડપથી વધે છે.
  • ભીના કપડાં અને જૂતાં: વરસાદમાં પલળ્યા પછી પણ લાંબો સમય ભીના કપડાં કે બૂટ-મોજાં પહેરી રાખવાથી પગ અને નખમાં ચેપ લાગવાનું જોખમ બમણું થઈ જાય છે.
  • ચુસ્ત કપડાં: બહુ વધારે ટાઈટ કે સિન્થેટિક કપડાં પહેરવાથી ત્વચા સુધી હવા પહોંચતી નથી, જેથી પરસેવો અંદર જ ભરાઈ રહે છે.

કોણે વધુ સાવધ રહેવાની જરૂર છે?

આ ચેપ ગમે તેને થઈ શકે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ, નબળી ઇમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) ધરાવતા લોકો, એચઆઈવી કે કેન્સર પીડિતો અને જેમને બહુ વધારે પરસેવો થતો હોય તેમણે વિશેષ સાવધાની રાખવી જોઈએ.

મુખ્ય સંકેતો અને લક્ષણો, જો શરીરમાં આ ફેરફારો દેખાય તો તુરંત જ સતર્ક થઈ જવું જોઈએ:

  • ત્વચા પર ગોળાકાર લાલ ચકામા થવા
  • સતત અને અસહ્ય ખંજવાળ આવવી
  • ત્વચા પર બળતરા કે ચળ ઊપડવી
  • ત્વચા ફાટવી અથવા તેના પરથી પોપડા ઉખડવા
  • પગમાંથી સતત દુર્ગંધ આવવી
  • નખ પીળા, જાડા અને નબળા પડી જવા

બચવાના આસાન ઉપાયો

  • શરીરને સૂકું રાખો: નહાયા પછી આખા શરીરને ટુવાલથી બરાબર લૂછીને સૂકું કરો.
  • સુતરાઉ કપડાં પહેરો: હંમેશા ઢીલા અને કોટનના કપડાં પહેરો જેથી ત્વચાને પૂરતી હવા મળતી રહે.
  • પગની સ્વચ્છતા: ભીના થયેલા બૂટ-મોજાં ફરીથી ક્યારેય ન પહેરો.
  • વસ્તુઓ શેર ન કરો: અન્ય વ્યક્તિના ટુવાલ, કાંસકો, મોજાં કે રેઝર જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો.

ડોક્ટરની સલાહ ક્યારે લેવી?

જો ત્વચા પરની ખંજવાળ કે લાલ ચકામા એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી રહે, દવા કરવા છતાં વારંવાર ઉથલો મારે અથવા શરીરમાં ઝડપથી ફેલાવા લાગે, તો ઘરેલું ઉપચાર કરવાને બદલે તુરંત જ ત્વચાના નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

યૂટ્યુબ જોઈ ઘરે કરાવી ડિલિવરી, પ્રસૂતા મહિલાનું મોત; પતિ સામે FIR

Follow Us