વર્લ્ડ સ્લીપ ડે (World Sleep Day) દર વર્ષે 18 માર્ચે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તેનો હેતુ લોકોને ઊંઘના (Sleep)મહત્વ વિશે જાગૃત કરવાનો છે. કોરોના મહામારીના (Corona pandemic) કારણે લોકો ઊંઘ સંબંધિત ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યા છે. અપુરતી ઊંધથી થતા રોગમાં મુખ્ય રોગ સામે આવ્યો છે તે છે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા. ((Obstructive sleep apnea) આ એવી સ્થિતિ છે જે ઉપલા વાયુમાર્ગના સંપૂર્ણ અથવા આંશિક અવરોધને કારણે થાય છે. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને શરીરમાં ઓક્સિજનનો પુરવઠો પણ અવરોધાય છે. આ રોગમાં સામાન્ય રીતે થોડીક સેકન્ડ માટે શ્વાસ બંધ થઈ જાય છે, પરંતુ જો લાંબા સમય સુધી શ્વાસ ન લેવાય તો મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, લોકો આ ઊંઘ સંબંધિત રોગના લક્ષણો અને કારણો વિશે જાગૃત રહે તે જરૂરી છે.
ડોકટરોના મતે, આ રોગને કારણે વ્યક્તિની ઊંઘની પેટર્નમાં ખલેલ પહોંચે છે. અપુરતી ઊંઘના કારણે બીજી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા હૃદય અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાઓનું કારણ બને છે. આ રોગ જીવનની ગુણવત્તા ઘટાડે છે. આ રોગ વૃદ્ધો અને સ્થૂળતાથી પીડિત લોકોમાં વધુ જોવા મળે છે.
જો કોઈ વ્યક્તિમાં OSA (Obstructive sleep apnea)ના લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે તો તે ખતરનાક પણ હોઈ શકે છે. એપોલો ટેલિહેલ્થના સીઈઓ વિક્રમ થાપલુ જણાવે છે કે 93 ટકા ભારતીય લોકો પૂરતી ઊંઘથી વંચિત છે અને તેમાંથી 65 ટકા લોકો સ્લીપ એપનિયા થવાની સંભાવના ધરાવે છે. આ રોગ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, લોકો સમયસર તેના લક્ષણોને ઓળખે અને સારવાર શરૂ કરે તે મહત્વપૂર્ણ છે. સમયસર નિદાન સાથે, આ રોગને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
એપોલો ટેલિહેલ્થના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. આયેશા નાઝનીને જણાવ્યું હતું કે સ્લીપ એપનિયા ગંભીર ક્રોનિક સ્થિતિ છે. આ સ્થિતિ માત્ર ઊંઘને જ અસર કરતી નથી. પરંતુ શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે. આ સમસ્યાથી પીડિત દર્દીના જીવનની ગુણવત્તા અને એકંદર આરોગ્યને અસર થાય છે. ડો.એ જણાવ્યું કે સારા સ્વાસ્થ્ય માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. તેથી, જો તમને કોઈ કારણસર પૂરતી ઊંઘ ન આવી રહી હોય, તો આ સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
વરિષ્ઠ મનોચિકિત્સક ડૉ.રાજકુમાર જણાવે છે કે અપુરતી ઊંઘના કારણે લોકો માનસિક તણાવ પણ અનુભવે છે. આવા અનેક લોકો તેમની પાસે આવી રહ્યા છે. જેમને પૂરતી ઊંઘ નથી આવતી અને તેના કારણે તેઓ માનસિક તણાવ અને ગભરામણ અનુભવે છે.
આ રોગનું પ્રારંભિક લક્ષણ નસકોરા છે. આ સિવાય રાત્રે ગૂંગળામણનો અનુભવ થવો, અચાનક ઊંઘ ન આવવી, રાત્રે સૂતી વખતે પરસેવો થવો, ઊંઘમાંથી ઉઠતા જ મોઢામાં શુષ્કતાનો અનુભવ થવો. જો તમને આમાંના કોઈપણ લક્ષણો દેખાય, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 12:44 pm, Fri, 18 March 22