
ઘરમાં પડેલી એક્સપાયર દવાઓને તો લોકો ઘણીવાર કચરાપેટીમાં ફેંકી દેતા હોય છે, પરંતુ મેડિકલ સ્ટોર કે ફાર્મસીમાં રહેલી એવી દવાઓનું શું થાય છે જેમની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હોય? શું કંપનીઓ તેમને પાછી લઈને ફરીથી ઉપયોગમાં લે છે? શું એક્સપાયર થયેલી ટેબ્લેટ કે સિરપમાંથી નવી દવાઓ બનાવવામાં આવે છે? કે પછી આ દવાઓનો કોઈ ચોક્કસ રીતે નિકાલ કરવામાં આવે છે?
આ સવાલ માત્ર રસપ્રદ જ નહીં, પણ ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે એક્સપાયર દવાઓનો ખોટી રીતે નિકાલ કરવો એ પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્ય બંને માટે મોટો ખતરો બની શકે છે. ભારતના દવા નિયામક સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ એક્સપાયર અને બિનઉપયોગી દવાઓના સુરક્ષિત નિકાલ માટે માર્ગદર્શિકા (ગાઈડન્સ) જાહેર કરી છે.
જ્યારે કોઈપણ મેડિકલ સ્ટોરમાં રાખેલી દવાની એક્સપાયરી ડેટ પૂરી થાય છે, ત્યારે તેને વેચાણ માટે રાખી શકાતી નથી. આવી દવાઓને સ્ટોરમાં તાત્કાલિક અલગ રાખવામાં આવે છે. CDSCO ની માર્ગદર્શિકા અનુસાર:
કંપની કે ઉત્પાદક પાસે પહોંચ્યા પછી એક્સપાયર થયેલી દવાઓને સામાન્ય વેચાણવાળા સ્ટોકથી સંપૂર્ણપણે અલગ રાખવામાં આવે છે અને તેનો અલગ ચોપડે રેકોર્ડ રખાય છે. તેનો મુખ્ય હેતુ એ છે કે ભૂલથી પણ આ દવાઓ ફરીથી બજાર કે ગ્રાહકો સુધી ન પહોંચે. જો આવી દવાઓ ગેરકાયદેસર રીતે બજારમાં પહોંચી જાય તો તેના દુરુપયોગનું મોટું જોખમ ઊભું થાય છે.
આ એક સંપૂર્ણ ખોટી માન્યતા છે. એક્સપાયર દવાઓમાંથી ક્યારેય નવી દવાઓ બનાવવામાં આવતી નથી. આ તમામ સ્ટોક માત્ર વૈજ્ઞાનિક નિકાલ (ડિસ્પોઝલ) માટે જ અલગ કરવામાં આવે છે. CDSCO ની ગાઈડલાઈન મુજબ દવાઓના પ્રકાર અને નિયમોના આધારે તેનો સુરક્ષિત નિકાલ થાય છે, જેમાં:
એક્સપાયર દવાનું ખુલ્લા કચરામાં ફેંકાવું જોખમી છે, કારણ કે તેના કેમિકલ્સ જમીન અને ભૂગર્ભ જળમાં ભળીને પ્રદૂષણ ફેલાવી શકે છે. ઉત્પાદન સ્તરે પણ દવા કંપનીઓએ રિજેક્ટ થયેલી દવાઓ અને ફેક્ટરીમાંથી નીકળતા ઘન કે પ્રવાહી કચરાનો પર્યાવરણના નિયમો અનુસાર નિકાલ કરવો પડે છે અને તેનો ઓડિટ રેકોર્ડ રાખવો ફરજિયાત છે.
દરેક પરિસ્થિતિમાં કંપની ખુદ દવાઓનો નાશ કરે તે જરૂરી નથી. ઘણી કંપનીઓ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (PCB) દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકૃત વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ્સને આ કામ સોંપે છે. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય દવાઓને સુરક્ષિત રીતે સપ્લાય ચેઈનમાંથી બહાર કાઢી કાયદાકીય રીતે નષ્ટ કરવાનો છે.
સરળ શબ્દોમાં કહીએ તો, મેડિકલ સ્ટોરમાંથી પાછી આવેલી એક્સપાયર દવાની સફર વેચાણમાંથી હટવા સાથે શરૂ થાય છે, સપ્લાયર મારફતે ઉત્પાદક સુધી પહોંચે છે અને અંતે વૈજ્ઞાનિક પદ્ધતિથી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર નષ્ટ કરી દેવામાં આવે છે.