
સિન્થેટિક રંગો, ધૂળ અને સતત પાણીના સંપર્કમાં રહેવાથી આંખોની નાજુક સપાટી પ્રભાવિત થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, અસલી મુશ્કેલી રંગોથી ઓછી અને હોળી રમી લીધા પછી કરવામાં આવતી ભૂલોથી વધુ વધે છે. એવામાં હોળી રમ્યા પછી આંખોને લઈને કઈ ભૂલો ન કરવી જોઈએ અને તેનાથી કેવી રીતે બચવું?
આંખો ઘસવાનું ટાળો: અવારનવાર લોકો ગભરાટમાં સૌથી પહેલી ભૂલ આંખોને જોરજોરથી ઘસવાની કરે છે. આવું કરવાથી રંગના બારીક કણો આંખની સપાટીમાં વધુ ઊંડે સુધી જઈ શકે છે, જેનાથી કોર્નિયા પર ખંજવાળવાનું જોખમ વધી જાય છે.
આઈ ડ્રોપ્સ નાખવા: હળવી બળતરા કે ડ્રાયનેસ (સૂકાપણું) માટે પ્રિઝર્વેટિવ-ફ્રી લુબ્રિકેટિંગ આઈ ડ્રોપ્સ થોડા સમય માટે રાહત આપી શકે છે પરંતુ દરેક સ્થિતિમાં દવાની જરૂર હોતી નથી. એન્ટિબાયોટિક અથવા સ્ટેરોઈડ આઈ ડ્રોપ્સનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર બિલકુલ ન કરવો જોઈએ.
ઘરગથ્થુ નુસખાઓનો ઉપયોગ: કેટલાક લોકો ગુલાબજળ અથવા ઘરે બનાવેલા મિશ્રણ જેવા નુસખાઓનો સહારો લે છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે, આ ઉપાયો ચેપ (Infection) અથવા એલર્જીમાં વધારો કરી શકે છે. આંખો અત્યંત સંવેદનશીલ અંગ છે, તેથી પ્રમાણિત ઉપાયો વગરનો પ્રયોગ જોખમી સાબિત થઈ શકે છે.
નેત્ર નિષ્ણાતોના મતે, સૌથી સુરક્ષિત અને જરૂરી પહેલું પગલું આંખોને હળવા હાથે સાફ કરવાનું છે. આંખને એકવાર નહીં પરંતુ 2-3 વાર પાણીની હળવી છાલક મારીને સાફ કરવાથી અંદર રહેલા કણો બહાર નીકળવામાં મદદ મળે છે. આ પદ્ધતિ સરળ છે પરંતુ સૌથી અસરકારક પણ છે.
હોળી રમતી વખતે પ્રોટેક્ટિવ આઈવેર (ચશ્મા) પહેરવા, સીધા ચહેરા પર રંગ નાખવાનું ટાળવું અને સુરક્ષિત તથા નોન-ટોક્સિક રંગોની પસંદગી કરવી આંખોની સુરક્ષામાં મદદરૂપ થાય છે. તહેવાર પછી આંખોની સફાઈ પણ ખૂબ જ હળવા હાથે કરવી જોઈએ.