Health Tips : જળ એ જ જીવન છે, આ વાત આપણે બાળપણથી સાંભળતાં આવ્યા છીએ. આપણા શરીરના દરેક અંગો સારી રીતે કામ કરી શકે તેના માટે શરીરમાં પાણી હોવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને ગરમીની સીઝનમાં પરસેવો વધારે થતો હોવાથી ડીહાઇડ્રેશનની સમસ્યા સર્જાય શકે છે.
શરીરમાં બેક્ટેરિયા, વાયરસ જેવા ઇન્ફેક્શન થવા પર પણ ડોકટર વધારે પાણી પીવાની સલાહ આપે છે. સવાલ એ ઉભો થાય છે જે પાણી પીવાની પણ કોઈ સાચી કે ખોટી રીત હોય શકે છે ? ઘરના વડીલો પાસે તમે આ વાત જરૂર સાંભળી હશે. આવો તમને જણાવીએ એવી ટિપ્સ જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
બેસીને પાણી પીઓ :
જોકે આ વાતનું કોઈ પ્રમાણ નથી. પણ આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે ઉભા રહીને પાણી પીવાથી શરીરને નુકશાન થઈ શકે છે. જ્યારે આપણે ઉભા રહીને પાણી પીએ છીએ ત્યારે શરીરમાં તરલ પદાર્થનું બેલેન્સ બગડી જાય છે, જેના કારણે સાંધાની સમસ્યા ઉભી થઇ શકે છે.
ગ્લાસથી પાણી પીઓ :
ઘણા લોકો બોટલમાંથી સીધું જ પાણી પીએ છે. ઘરના વડીલો પણ તેને લઈને ટોકતા હશે. બોટલથી પાણી પીવું હિતાવહ નથી. આપણે હંમેશા ગ્લાસમાં ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું જોઈએ. જેનું એક કારણ એ પણ છે કે જ્યારે આપણે બોટલ વડે પાણી પીએ છીએ ત્યારે ગળું ભરાઈ જાય છે અને આપણે ઓછું પાણી પી શકીએ છીએ. જો તમે ગ્લાસમાં પાણી પીઓ છો તો પૂરો ગ્લાસ પાણી પી શકો છો અને શરીરમાં વધારે પાણી જાય છે. પાણીનો એક નાનો ઘૂંટ પીઓ, પછી શ્વાસ લો. આયુર્વેદમાં પાણી પીવાની આ રીતને જ યોગ્ય માનવામાં આવી છે.
વધારે ઠંડુ પાણી ન પીવું જોઈએ. તેનાથી શરીરની ડાઈજેસ્ટિવ સિસ્ટમ પર અસર થાય છે. હૂંફાળા પાણી પીવાના ઘણા ફાયદા છે. જ્યારે તમને તરસ લાગે ત્યારે પાણી પીઓ. રોજ અઢીથી ત્રણ લીટર પાણી પીવાનો આગ્રહ રાખો.